Breaking News: ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા ફેલ થયા બાદ ટ્રમ્પનો PM મોદીને ફોન; 40 મિનિટ સુધી ચાલી ગુપ્ત ચર્ચા
ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જતાં જ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ 40 મિનિટની વાતચીતે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. જાણો, બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા.

ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત માટે મધ્યસ્થી કરનાર પાકિસ્તાને ઈસ્લામાબાદમાં બન્ને દેશના નેતાઓ અને પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક યોજી હતી. જો કે ઈસ્લામાબાદમાં બન્ને દેશ વચ્ચેની મંત્રણા નિષ્ફળ નિવડી હતી. આ ઘટનાના ત્રણ દિવસ બાદ, જ્યારે બન્ને દેશ વચ્ચે ફરીથી શાંતિ મંત્રણા માટે ટેબલ ઉપર બેસવાના સંકેત મળી રહ્યાં છે તેવા સંજોગોમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત આશરે 40 મિનિટ સુધી ચાલી હતી.
શાંતિ સ્થાપવા ભારતની ભૂમિકા પર નજર
ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. ખાસ કરીને વર્તમાન તણાવને ઘટાડવામાં અને શાંતિ સ્થાપવામાં ભારતની શું ભૂમિકા હોઈ શકે છે, તે અંગે પણ ટ્રમ્પે મંથન કર્યું છે. વાતચીતના અંતે પીએમ મોદીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે, ‘ભારતના લોકો તમને પ્રેમ કરે છે’, જે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે.
યુદ્ધના સંકટ વચ્ચે બીજી વખત સંવાદ
ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આ બીજી મુલાકાત (ફોન દ્વારા) છે. આ અગાઉ 24 માર્ચના રોજ પણ બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. ભારત હંમેશાથી તણાવ ઘટાડવા અને શાંતિના પક્ષમાં રહ્યું છે, ત્યારે ટ્રમ્પનું મોદી સાથે સંપર્ક સાધવું એ વૈશ્વિક મંચ પર ભારતનું વધતું કદ દર્શાવે છે.
માર્કો રુબિયોની ભારત મુલાકાત
આ ફોન કોલ બાદ હવે આગામી મહિને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારત આવવાના છે. માનવામાં આવે છે કે તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઈરાન સંકટ અને રક્ષણ ક્ષેત્રે કોઈ મોટા નિર્ણયો લેવાઈ શકે છે.
હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે ઈસ્લામાબાદમાં જે શાંતિ વાર્તા ફેલ થઈ છે, શું ભારત તેમાં મધ્યસ્થી કરીને કોઈ નવો રસ્તો કાઢી શકશે?
