California Shooting: કેલિફોર્નિયાના ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, એક યુવકનું મોત, 5 ઈજાગ્રસ્ત
America : અધિકારીઓએ જણાવ્યું કે આ ફાયરિંગ લગુના વુડ્સમાં જિનીવા પ્રેસ્બિટેરિયન ચર્ચમાં થયું હતુ, ફાયરિંગ બાદ ચર્ચમાં નાસભાગ મચી ગઈ હતી.
અમેરિકામાં (America) ફાયરિંગની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બફેલો શહેરના એક સુપરમાર્કેટમાં થયેલા અંધાધૂંધ ગોળીબારના (Firing)એક દિવસ બાદ ફરી અમેરિકાથી આ જ સમાચાર સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. આ વખતે ફાયરિંગની ઘટના સધર્ન કેલિફોર્નિયાના એક ચર્ચમાં બની છે. મળતી માહિતી મુજબ, એક બંદૂકધારીએ ચર્ચની (California Church Shooting)અંદર ગોળીબાર કર્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમચાર મળી રહ્યા છે.
લોકો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા
અધિકારીઓએ જણાવ્યું કે આ ફાયરિંગ લગુના વુડ્સમાં જિનીવા પ્રેસ્બિટેરિયન ચર્ચમાં થયું હતું. ફાયરિંગ બાદ ચર્ચમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. આ દરમિયાન એક યુવક બંદૂકધારીની ગોળીના નિશાને આવી ગયો, જે બાદ તેનું મોત નીપજ્યું. પોલીસે જણાવ્યું કે આ ઘટનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી પોલીસને હથિયારો પણ મળી આવ્યા છે.
બંદૂકધારીનું નિશાન તાઇવાનના લોકો હતા ?
ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગના પ્રવક્તા કેરી બ્રૌને જણાવ્યું હતું કે, મોટાભાગના પીડિતો તાઇવાનના હતા. જો કે, અધિકારીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું તાઇવાનના (Taiwan) લોકો બંદૂકધારીનું નિશાન હતા. જો નહીં તો આ ઘટનાને અંજામ આપવા પાછળ આરોપીઓનો ઈરાદો શું હતો. ઓરેન્જ કાઉન્ટી ફાયર ઓથોરિટીએ ટ્વિટર પર જણાવ્યું કે તેના અગ્નિશામકો અને પેરામેડિક્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી તસવીરોમાં ઈમરજન્સી વાહન ચર્ચની બહાર ઊભું જોવા મળ્યું હતું. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમના કાર્યાલયે આ ઘટના પર કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહી છે.
રવિવારે બફેલોમાં ફાયરિંગ થયું હતુ
ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના રવિવારે પણ સામે આવી હતી. જ્યારે અમેરિકાના બફેલો શહેરમાં એક સુપરમાર્કેટમાં આર્મી યુનિફોર્મ પહેરેલા 18 વર્ષના યુવકે રાઈફલથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. સત્તાવાળાઓએ આ હુમલાને વંશીય લાગણીઓથી પ્રેરિત હિંસક ઉગ્રવાદ તરીકે ઓળખાવ્યો હતો.