Russia Ukraine War: યુક્રેનમાં (Ukraine) એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ હતો. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આ બીજા ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયુ છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના (Karnataka) વિદ્યાર્થી નવીન શેખરપ્પા જ્ઞાનગૌદારનું (Naveen SG) અવસાન થયુ હતુ. વિદેશ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નવીનનું મૃત્યુ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં થયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું હતુ કે ‘અત્યંત દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં (Kharkiv) ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ એક અધિકારીના જણાવ્યા અનુસાર નવીન કર્ણાટકના હાવેરી જિલ્લાના ચલગેરીનો રહેવાસી હતો. તમને જણાવવુ રહ્યુ કે ઘણા ભારતીયો હજુ પણ ખાર્કિવમાં ફસાયેલા છે, જ્યાં રશિયાએ એક મોટું સૈન્ય (Russian Army) આક્રમણ શરૂ કર્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશ સચિવ ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાટાઘાટ કરી રહ્યા છે.
વિદેશી મંત્રાલયે જણાવ્યુ હતુ કે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પડોશી દેશો માટે 31 ઈવેક્યુએશન ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે. ત્યાં ફસાયેલા 6,300થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, સ્પાઈસ જેટ અને ઈન્ડિયન એરફોર્સ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. ‘ઓપરેશન ગંગા’ અભિયાનના ભાગરૂપે યુક્રેનમાંથી ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 માર્ચથી રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી 21 અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ચાર વિમાન ભારતીય નાગરિકો સાથે પરત ફરશે.
ભારતીય વાયુસેના બુકારેસ્ટથી ભારતીયોને પરત લાવશે. તમને જણાવવુ રહ્યુ કે 2 માર્ચથી 8 માર્ચની વચ્ચે કુલ 31 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે, જેમાં 6,300થી વધુ ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસ જેટના વિમાનોની બેઠક ક્ષમતા લગભગ 180 છે, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનો અનુક્રમે 250 અને 216 મુસાફરોની ક્ષમતા છે. ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા લગભગ 14,000 નાગરિકોને બચાવવા માટે 26 ફેબ્રુઆરીથી સ્થળાંતર અભિયાન શરૂ કર્યું છે.
આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીનના ભાઈએ સરકારને કરી આ અપીલ
Published On - 7:34 pm, Wed, 2 March 22