Imran Khan’s rally પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, રાજધાની ઈસ્લામાબાદ સળગ્યું, ઈમરાન ખાન હજારો લોકો સાથે ઈસ્લામાબાદ પહોંચ્યા, સેનાને ઉતારાઈ મેદાને
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે. જો કે, રાજધાનીમાં તેના પ્રવેશ પહેલા, ત્યાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈના કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી હતી.
Imran Khan March: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) આઝાદી રેલી ઈસ્લામાબાદ (Islamabad) પહોંચે તે પહેલા જ પાકિસ્તાનમાં (Pakistan) હિંસા ફાટી નીકળી હતી. સુરક્ષા દળોએ ભીડને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પીટીઆઈના ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. મોડી રાત્રે ઇમરાન ખાન હજારો સમર્થકો સાથે રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. સ્થિતિને ધ્યાને લઈને પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદના રેડ ઝોનમાં સેન્યને ઉતાર્યુ છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની લોંગ માર્ચ ઈસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે. જો કે, રાજધાનીમાં તેના પ્રવેશ પહેલા, ત્યાં હિંસા ફાટી નીકળી હતી. પીટીઆઈ કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી અને રોડ ડિવાઈડર પર લગાડવામાં આવેલા વૃક્ષોને આગ ચાંપી દીધી. સમાચાર એવા પણ આવી રહ્યા છે કે ટોળાએ એક મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઈમરાન ખાને બુધવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે તેઓ લોગ માર્ચને લઈને સરકાર સાથે સમજૂતી પર પહોંચ્યા છે.
ઈમરાન ખાને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં નવેસરથી ચૂંટણીની જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ઈસ્લામાબાદમાં વિરોધ માર્ચ અને ધરણાના તેમના કાર્યક્રમને આગળ ધપાવશે. ઈમરાન ખાને (69) ટ્વિટ કર્યું, ‘અફવાઓ ફેલાવવામાં આવી હતી અને જાણીજોઈને એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સમાધાન થઈ ગયું છે. કોઈ રસ્તો નથી. અમે ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છીએ અને કોઈ સમજૂતીનો પ્રશ્ન નથી. જ્યાં સુધી એસેમ્બલી ભંગ ન થાય અને ચૂંટણીની નવી તારીખો જાહેર ન થાય ત્યાં સુધી અમે ઇસ્લામાબાદમાં જ રહીશું. હું ઈસ્લામાબાદ અને રાવલપિંડીના તમામ લોકોને કૂચમાં જોડાવા માટે આહ્વાન કરું છું.’
રાજધાની તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવાયા
આ પહેલા ‘દુનિયા’ ન્યૂઝ ચેનલે એક સમાચારમાં જણાવ્યું હતું કે સેનાના હસ્તક્ષેપ બાદ પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટીની ‘આઝાદી રેલી’નું આયોજન કરવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, પોલીસ અને ઈમરાનખાનના પક્ષ પીટીઆઈના સમર્થકો વચ્ચેની અથડામણને પગલે, સરકારે વિવિધ સ્થળોએ કન્ટેનર અને ટ્રકો સાથે રાજધાની તરફ જતા અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા હતા.