Tiananmen Massacre : ચીનનો એ કાળો ઈતિહાસ જેને મીટાવવા મથી રહી છે સરકાર, હજારો વિદ્યાર્થીઓને ચીની સેનાએ જ મોતને ઘાટ ઉતારી દીધા હતા
ચીનની નવી પેઢીને ચોત્રીસ વર્ષ પહેલાં બેઇજિંગના થિયાનમેન સ્ક્વેરમાં ચીની સેનાએ કરેલા નરસંહારની જાણ ન હોવી જોઈએ. આ માટે ચીન આ હત્યાકાંડ સાથે જોડાયેલી દરેક માહિતી પુસ્તકો, ઈન્ટરનેટ અને અન્ય માહિતી માધ્યમોમાંથી હટાવી રહ્યું છે.
4 જૂનની તારીખ એ ચીનના લલાટે લખાયેલો કાળો દિવસ છે, જેને ચીનની સામ્યવાદી સરકાર ભૂંસી નાખવા માટે દરેક રીતે પ્રયાસ કરી રહી છે. ચીનની નવી પેઢીને, ચોત્રીસ વર્ષ પહેલાં બેઇજિંગના થિયાનમેન સ્ક્વેરમાં ચીની સેનાએ કરેલા નરસંહારની જાણ ન હોવી જોઈએ તેવુ ચીન ઈચ્છે છે. આ માટે ચીન આ હત્યાકાંડ સાથે જોડાયેલી દરેક માહિતી પુસ્તકો, ઈન્ટરનેટ અને અન્ય માહિતી માધ્યમોમાંથી હટાવી રહ્યું છે.
આ ઘટના પર ચીનમાં વાત કરવા પર પણ પ્રતિબંધ
ચીનના ઈન્ટરનેટ પર આવા 64 શબ્દો પર પ્રતિબંધ છે, જે થિયાનમેન હત્યાકાંડ સાથે જોડાયેલી માહિતી આપી શકે છે. ગેટ ઈન હેવનલી પીસ (1995) અને ટેક્સી ડ્રાઈવર (2017) જેવી કેટલીક ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગ પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેમાં ચીની સૈન્યની અસંસ્કારી ક્રિયાઓનું વર્ણન છે. આ હત્યાકાંડના ઉલ્લેખથી ચીન એટલું ગભરાઈ ગયું છે કે કેટલાક ઈમોજી પર પણ જિનપિંગ સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાના અહેવાલ છે. થિયાનમેન હત્યાકાંડની યાદમાં હોંગકોંગમાં બનાવવામાં આવેલ શહીદ સ્તંભ અથવા શરમનો સ્તંભ પણ તાજેતરમાં ચીનની સરકારે હટાવી દીધો હતો. ત્યારે શું છે આ થિયનમેન હત્યાકાંળ તેના વિશે આપણે જાણી શું?
થિયાનમેન હત્યાકાંડ શું છે?
એપ્રિલ 1989માં, ચીનના વિદ્યાર્થીઓએ બેઇજિંગ અને અન્ય કેટલાક શહેરોમાં લોકશાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. સરકારી ચેતવણીઓને અવગણીને, બેઇજિંગના એક મુખ્ય ચોક, થિયાનમેન ખાતે લગભગ એક લાખ લોકો એકઠા થયા હતા. પછીના દિવસોમાં, આ વિરોધના સમર્થકોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ. સામ્યવાદી પક્ષના નેતૃત્વએ વિરોધીઓની માંગને ફગાવી દીધી હતી. સેંકડો વિદ્યાર્થીઓએ 13 મેથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. બેઇજિંગમાં 20 મેના રોજ માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓનો વિરોધ વધુ ને વધુ મોટો થતો ગયો. 3 જૂનના રોજ જ્યારે પીએલએના હજારો સૈનિકો થિયાનમેન સ્ક્વેર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓએ તેમને સંગઠિત કરીને રોક્યા હતા.
આ હત્યાકાંડમાં હજારો વિદ્યાર્થીઓ માર્યા ગયા
બીજા દિવસે એટલે કે 4 જૂને સવારે પાંચ વાગ્યે ટેન્ક અને બખ્તરબંધ વાહનો પર ચડી ગયેલી સેંકડો ચીની સેનાએ શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. ડઝનબંધ હેલિકોપ્ટર દ્વારા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પ્રત્યક્ષદર્શીઓ અને અન્ય સ્ત્રોતો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સેનાએ તેની કાર્યવાહીમાં પહેલા નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર બંદૂકોથી ગોળીબાર કર્યો અને પછી તેમને ટેન્કથી કચડી નાખ્યા. આ હત્યાકાંડમાં હજારો વિદ્યાર્થીઓ માર્યા ગયા અને ચીનની સામ્યવાદી સરકારે લોકશાહી તરફી અવાજને નિર્દયતાથી દબાવી દીધો.
ન્યુ યોર્કમાં થિયાનમેન હત્યાકાંડ મ્યુઝિયમમાં તેની સંપૂર્ણ માહિતી
ચીનની બર્બરતાના પ્રતીક એવા થિયાનમેન હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોની યાદમાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક મ્યુઝિયમ ખોલવામાં આવ્યું છે. આ મ્યુઝિયમનું સરનામું ખૂબ જ રસપ્રદ છે. મ્યુઝિયમનો બિલ્ડીંગ નંબર – 8946 છે જે આ હત્યાકાંડની તારીખ – વર્ષ, દિવસ અને મહિનો પણ જણાવે છે. મ્યુઝિયમ શરૂ કરનારા લોકોને શંકા છે કે યુ.એસ.માં ચીની એમ્બેસી મ્યુઝિયમને નુકસાન પહોંચાડવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો