Breaking News : ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે USA સામે મૂકી 7 શરત, હવે બોલ ટ્રમ્પની કોર્ટમાં
ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરવા માટે સાત શરતો રજૂ કરી છે. તેમાં દુશ્મનાવટનો અંત લાવવા, અટકાવવામાં આવેલા ભંડોળને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી હટાવવા સહીતની બાબતનો સમાવેશ થાય છે. જો કે આ શરતોની સાથેસાથે ઈરાને નિર્ણાયક યુદ્ધ લડવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા (USA) સાથે વાટાઘાટો કરવા સંમત થતા પહેલા ઈરાને સાત શરતો નક્કી કરી છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહસેન રેઝાઈએ જણાવ્યું હતું કે કતારે ઈરાનની શરતો અમેરિકા સુધી પહોંચાડી છે. તેહરાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. જોકે, ઈરાને હજુ સુધી તમામ સાત શરતો જાહેર કરી નથી. અત્યાર સુધી જાહેર થયેલી મુખ્ય માંગણીઓમાં તમામ મોરચે યુદ્ધનો અંત, ઈરાનની અટકાવવામાં આવેલી સંપત્તિ મુક્ત કરવી અને નૌકાદળની નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે.
રેઝાઈએ જણાવ્યું હતું કે, આ શરતો સ્વીકારવી એ અમેરિકાના હિતમાં છે. ટ્રમ્પની ધમકીઓને બિનઅસરકારક ગણાવતા તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો અમેરિકા આ માંગણીઓ પૂરી નહીં કરે, તો ઈરાન નિર્ણાયક યુદ્ધ માટે તૈયાર છે. કતાર અને પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ફરી શરૂ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે વાટાઘાટો અંગેનો અગાઉનો કરાર ગયા મહિને સમાપ્ત થઈ ગયો હતો. વર્તમાન સંઘર્ષ ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ શરૂ થયો હતો.
Iran | Mohsen Rezaei, Secretary of Iran’s Supreme National Security Council, announced that Iran has delivered 7 clear and unambiguous conditions to the United States government as a prerequisite for opening any diplomatic talks.
Taking to the social media platform X, the top Iranian security chief wrote, “Iran has announced 7 conditions for starting any negotiations with the US government. Tehran’s message is clear and unambiguous; if Washington wants to escape the quagmire it has created for itself and avoid getting further entangled in it, it has no choice but to accept Iran’s rights and conditions.”
— ANI (@ANI) September 19, 2026
અમેરિકાના અન્ય હુમલાની આશંકા
રેઝાઈએ અમેરિકાના અન્ય હુમલાની શક્યતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે, ઈરાને તેની સૈન્ય સ્થિતિમાં ફેરફાર કર્યો છે અને હવે તે પર્શિયન ગલ્ફથી લઈને ગલ્ફ ઓફ ઓમાન અને અરબી સમુદ્ર સુધીના સમગ્ર વિસ્તારમાં અમેરિકાના નૌકાદળની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાને તાજેતરમાં અમેરિકાના જહાજ અથવા એરક્રાફ્ટ કેરિયરની નજીક મલ્ટિપલ વોરહેડ્સથી સજ્જ એન્ટી-શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં ઈરાનનો કોઈપણ પ્રતિભાવ આ વિસ્તારમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોથી આગળ વધીને અમેરિકાના વ્યવસાયો અને કંપનીઓને પણ નિશાન બનાવી શકે છે.
ઈરાનની પરમાણુ નીતિમાં કોઈ ફેરફાર નહીં
પરમાણુ કાર્યક્રમ અંગે રેઝાઈએ જણાવ્યું હતું કે, ઈરાને હજુ સુધી પરમાણુ અપ્રસાર સંધિ (NPT) માંથી ખસી જવાનો નિર્ણય લીધો નથી અને તેની પરમાણુ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે ઈરાન પરમાણુ હથિયારો વિરુદ્ધના ધાર્મિક આદેશનું પાલન કરી રહ્યું છે. જોકે, અમેરિકાના પગલાં તેને ભવિષ્યમાં NPT માંથી ખસી જવા તરફ ધકેલી શકે છે. રેઝાઈએ બાબ-અલ-મંદેબની જળમાર્ગ (સ્ટ્રેટ) બંધ કરવાના વિચારને ફગાવી દીધો અને તેને યમન તથા હુથી આંદોલન સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો. હોર્મૂઝ સ્ટ્રેટ અંગે તેમણે જણાવ્યું કે ઈરાન અને ઓમાન વચ્ચેનો કરાર લગભગ આખરી તબક્કામાં હતો, પરંતુ હાલમાં તેને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ન્યૂયોર્કમાં 18 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ-સ્તરીય સપ્તાહમાં ભાગ લેવા માટે ઈરાની પ્રતિનિધિમંડળને વિઝા ઈસ્યું કર્યા છે.
