Afghanistan Crisis: અમેરિકાના ‘ડ્રોન હુમલા’માં 7 બાળકો સહિત 10 નિર્દોષોએ જીવ ગુમાવ્યો, પીડિતોના પરિવારોએ કહ્યું, ‘માફી પૂરતી નથી ‘
કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. પહેલા તેમણે કહ્યું કે તેમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ હવે સ્વીકાર્યું કે હુમલામાં નિર્દોષ અફઘાન નાગરિકો માર્યા ગયા છે.
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાને (Taliban) કબજો કર્યા બાદ અમેરિકાએ તેની સેના પાછી ખેંચી લીધી છે. આ બાદ કાબુલ એરપોર્ટ પર હુમલો થયો હતો, જેનો અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો હતો.
અફઘાનિસ્તાનમાં અમેરિકી ડ્રોન હૂમલામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓના પરિવારજનોએ કહ્યું છે કે આ કેસમાં માફી માંગવી પૂરતી નથી, ગુનેગારોની તપાસ થવી જોઈએ અને તેમને સજા થવી જોઈએ. આ હુમલામાં સાત બાળકો સહિત તેના પરિવારના 10 સભ્યો માર્યા ગયા હતા. અમલ અહમદીની 3 વર્ષીય પુત્રી મલિકાનું 29 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું, જ્યારે યુએસ હેલફાયર મિસાઈલ તેના મોટાભાઈની કાર સાથે અથડાઈ હતી.
અહમદીએ શનિવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે પરિવાર અમેરિકાથી એ તપાસની માંગ કરી રહ્યું છે કે મિસાઈલ કોણે ચલાવી અને હુમલા માટે જવાબદાર લશ્કરી કર્મચારીઓને સજા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું, ‘અમારા માટે માત્ર દુઃખ વ્યક્ત કરવું પૂરતુ નથી. અમેરિકાએ આ હુમલો કરનારાઓને શોધવા પડશે. અહમદીએ કહ્યું કે પરિવાર તેમના નુકસાન માટે આર્થિક વળતરની પણ માંગ કરી રહ્યા છે. તેમણે માંગ કરી હતી કે પરિવારના ઘણા સભ્યોને કોઈ ત્રીજા દેશમાં મોકલવા જોઈએ અને તે દેશનું નામ જાહેર કરવું જોઈએ નહીં.
અમેરિકાએ ભૂલ માટે માફી માંગી છે
અમેરિકી સેનાએ સ્વીકાર્યું છે કે અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાના થોડા દિવસો પહેલા એક જીવલેણ ડ્રોન હુમલો તેની “ભયાનક ભૂલ” હતી કારણ કે તેમાં આઈએસઆઈએસ-કે આતંકવાદીઓને બદલે સાત બાળકો સહિત 10 નિર્દોષ અફઘાનો માર્યા ગયા હતા.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ કેનેથ ફ્રેન્ક મેકેન્ઝીએ 29 ઓગસ્ટના હુમલાની તપાસના પરિણામો પર પત્રકારોને જણાવ્યું હતું કે ડ્રોન હુમલામાં નુકસાન પામેલા અને માર્યા ગયેલા લોકો ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને લેવન્ટ-ખોરાસનથી જોડાયેલા અથવા તો અમેરિકાની સેનાએ માટે સીધો ખતરો હોવાની અપેક્ષા નહોતી.
અમેરિકાએ હુમલાના બચાવમાં શું કહ્યું?
મેકેન્ઝીએ જણાવ્યું હતું કે આ હુમલાને ઈસ્લામિક સ્ટેટ હુમલા પછી હમીદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની સ્થિતિના સંદર્ભમાં જ સમજવું જોઈએ. એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા અને 100 થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા. સાથોસાથ ગુપ્તચર અધિકારીઓએ આવા બીજા હુમલાનો સંકેત આપ્યો હતો.
જનરલ મેકેન્ઝીએ કહ્યું કે તપાસના પરિણામોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ તેઓ સંમત થયા કે 29 ઓગસ્ટના કાબુલમાં હેલફાયર મિસાઈલ હુમલામાં સાત બાળકો સહિત 10 નાગરિકો માર્યા ગયા હતા, જે દુ: ખદ છે.
આ પણ વાંચો :ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે, ઈમરાન ખાને કહ્યું- અફઘાનિસ્તાનમાં અમારી વિરુદ્ધ કામ કરી રહ્યા છે 3 સંગઠન