મંકીપોક્સ વાયરસના કેસ હવે સતત વધી રહ્યા છે. આફ્રિકા બાદ આ વાયરસ સ્વીડનથી આપણા પડોશમાં આવેલા પાકિસ્તાનમાં પણ ફેલાયો છે. ભારતમાં પણ મંકીપોક્સના કેસ આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકાર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મોટી અને મહત્વની હોસ્પિટલોને મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી છે.
મંકીપોક્સ પણ એક ચેપી પ્રકારનો રોગ છે. જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં મંકીપોક્સના વાયરસ મૃત્યુનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તબીબી નિષ્ણાતોએ, સાવચેતી અને મંકીપોક્સના નિવારણની સલાહ આપી છે. ખાસ કરીને જેમનો જન્મ 1980 પછી થયો છે. તેઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે 1980 પછી જન્મેલા લોકોને મંકીપોક્સનું જોખમ કેમ વધારે છે? આ વિશે જાણો.
તબીબી નિષ્ણાતો કહે છે કે, મંકીપોક્સ અને શીતળાના વાયરસના લક્ષણો લગભગ એકસમાન છે. મંકીપોક્સ પણ શીતળા પરિવારનો જ વાયરસ ગણાય છે. જેની શરૂઆત ઘણા દાયકાઓ પહેલા આફ્રિકાથી થઈ હતી. આ વાયરસ વાંદરાઓથી માણસોમાં ફેલાયો અને આ પછી મંકીપોક્સ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. મંકીપોક્સ અને શીતળાના વાયરસની અસર પણ ઘણા કિસ્સાઓમાં સમાન હોય છે. આવી સ્થિતિમાં, જે લોકોને શીતળા સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે તેમને મંકીપોક્સનું જોખમ ઓછું હોઈ શકે છે.
1960 થી 1970 દરમિયાન વિશ્વભરમાં શીતળાના વાયરસના ઘણા કેસો હતા. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે, શીતળાની રસી સાથે મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ વ્યાપી રસીકરણના થોડાક જ સમયમાં શીતળાના કેસ ઓછા થવા લાગ્યા અને વર્ષ 1980 સુધીમાં શીતળાના કેસો આવવાનું બંધ થઈ ગયું. 1980માં ડબ્લ્યુએચઓએ શીતળાના રોગને નાબૂદ કરવાની જાહેરાત કરી અને તેનું રસીકરણ પણ બંધ કરી દેવામાં આવ્યું. માત્ર 1980 સુધી જન્મેલા બાળકોને જ જન્મ સમયે શીતળા સામે રસી આપવામાં આવતી હતી. તે પછી તેનું રસીકરણ કરવામાં આવ્યું ન હતું. 1980 પહેલાં જન્મેલા મોટાભાગના લોકોને શીતળા સામે રસી આપવામાં આવી હોવાથી, તેમના મંકીપોક્સનું જોખમ પણ ઘટાડી શકાય છે.
મંકીપોક્સથી બચાવ અને નિવારણ બાબતે, જાણીતા એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોરનું કહેવું છે કે, 1980 સુધી જન્મેલા દરેક લોકોને શીતળા સામે રક્ષણ આપતી રસી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, અન્ય લોકોની તુલનામાં જેમણે શીતળા સામે રક્ષણ આપતી રસી મેળવી હશે તેમને મંકીપોક્સનું જોખમ પ્રમાણમાં ઓછું હશે. જો કે, આનો અર્થ એવો પણ નથી કે જે લોકોને શીતળા સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે તેઓને મંકીપોક્સ થઈ શકતો નથી. વાયરસ તેમને ચેપ લગાવી શકે છે પરંતુ તેના લક્ષણો અન્ય લોકોની સરખામણીએ બહું ગંભીર નહીં હોય. આવી સ્થિતિમાં સાવધાન રહેવાની જરૂર છે.
આ વખતે મંકીપોક્સનો સ્ટ્રેન પણ બદલાયો છે, તેથી ખતરો વધુ છે. હાલમાં મંકીપોક્સને લઈને સાવધાન રહેવું પડશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોકસાઈ અને દેખરેખ વધારવી પડશે. જો કોઈ વ્યક્તિ ફ્લૂથી પીડિત હોય અને તેના શરીર પર ફોલ્લીઓ છે, તો તેવી વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે અલગ રહેવુ પડશે. જો કે આ વાયરસ કોવિડ19 જેટલો ચેપી નથી અને મૃત્યુ દર પણ વધારે હોઈ શકે છે.
જાણીતા એપિડેમિયોલોજિસ્ટ ડૉ. કિશોર કહે છે કે વર્ષ 2022માં જ્યારે મંકીપોક્સના કેસ અમેરિકા અને યુરોપમાં આવ્યા હતા, ત્યારે આ દેશોમાં મંકીપોક્સને રોકવા માટે, શીતળાની રસી Jynneos અને ACAM2000 આપવામાં આવી હતી, જોકે WHOએ તેને વિશ્વમાંથી નાબૂદ જાહેર કરી હતી, તેથી તે પછી તેની રસી ભારતમાં બનાવવામાં આવી નથી. આ રસી માત્ર અમેરિકા અને રશિયાની લેબમાં જ ઉપલબ્ધ છે. તેથી, લોકો સાવચેત રહે અને પોતાને મંકીપોક્સથી બચાવે તે મહત્વપૂર્ણ છે.