Health Tips : આરોગ્યલક્ષી ફાયદાઓ મેળવવા યોગ્ય રીતે યોગ કરવા છે જરૂરી
સારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત શરીર માટે આપણે યોગા અને કસરત કરતા હોઈએ છીએ. પણ યોગ કરવાની પણ એક રીત હોય છે. જો તે યોગ્ય રીતે કરવામાં આવે તો જ તેના ફાયદા મળી શકે છે.
યોગાભ્યાસ આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. રોજ 10 થી 15 મિનિટ સુધી કરવામાં આવેલ યોગ અનેક શારીરિક અને માનસિક વિકારને દૂર કરવામાં પણ સહાયક બને છે. જોકે યોગ વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને બંધારણને ધ્યાનમાં રાખીને તેમજ કેટલાક નિયમોનું પાલન કરીને કરવા જોઈએ. જો આ ધ્યાન રાખવામાં ન આવે તો યોગના ફાયદાને બદલે નુકશાન થઇ શકે છે.
સામાન્ય રીતે સવાર સાંજ એમ ક્યારેય પણ તમે આસન કરી શકો છો. જોકે ભરપેટ ભોજનના 3-4 કલાક પછી હળવો નાસ્તો કર્યાના કલાક પછી, ચા-છાશ જેવું પીણું લેવાના અડધા કલાક પછી આસન કરવું સારું રહેશે. જો યોગ કરવાના સમયનું ધ્યાન રાખવામાં આવે તો પરિણામ સારું મળે છે.
કોણ કરી શકે છે ? કોણ ન કરી શકે ? પ્રેગ્નન્સીમાં અઘરા આસન અને કપાલભાતિ ક્યારેય ન કરવા જોઈએ. મહિલાઓએ પીરિયડ્સ દરમ્યાન, નોર્મલ ડિલિવરીના 3 મહિના સુધી અને સિઝેરિયન ઓપરેશનના 6 મહિના સુધી યોગ ન કરે એ ઇચ્છનીય છે. કમરમાં દુખાવો થતો હોય તો આગળ નહીં, પાછળ ઝૂકી શકો છો. જો હર્નિયા હોય તો પાછળ ન ઝુકો. હાર્ટની બીમારીવાળા દર્દીઓએ યોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સામાન્ય રીતે યોગાસન શરીરને શક્તિ, ઉર્જા અને સક્રિયતા પ્રદાન કરે છે. મનમાં ઉત્પ્ન્ન થતા નકારાત્મક વિચારોને શાંત કરીને હકારાત્મક દિશા પ્રદાન કરે છે. ચીડિયાપણું દૂર કરે છે. લોહીનું પરિભ્રમણ સુધારે છે અને જે રક્તવાહિનીઓ સારી રીતે કામ ન કરતી હોય તેની સ્થિતિ સુધારે છે.
કઈ રીતે કરવા યોગ ? યોગ કરતી વખતે શરીરને શિથિલ રાખો. ઝટકાથી આસન ન કરો. સરળતાથી જેટલું કરી શકો તેટલું જ કરો. ધીરે ધીરે પ્રેક્ટિસ વધારો. યોગ હંમેશા ધ્યાનથી અને મૌન રાખીને કરવા. થાક લાગ્યો હોય, જયારે તમે બીમાર હોવ કે ઉતાવળમાં હોવ ત્યારે યોગ ન કરવા જોઈએ. યોગની 30 મિનિટ પછી જ કંઈક ખાવું જોઈએ. યોગના પરિણામ આવવામાં સમય લાગશે. માટે રિઝલ્ટ માટે ઉતાવળ ન કરવી.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચો :