Surat: 7 વર્ષમાં જ આવાસ જર્જરિત, દુર્ઘટના બાદ લોકોને અન્ય આવાસમાં ખસેડવાની કામગીરી શરુ
સરસ્વતી આવાસના 340 અસરગ્રસ્તોને વડોદ સ્થિત આવાસમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 7 વર્ષમાં જ આ આવાસ જર્જરિત બની જતા લોકોના જીવ પર જોખમ ઉભું થયું હતું.
ભેસ્તાન ઇડબલ્યુએસ ખાતે સરસ્વતી આવાસમાં જર્જરિત આવાસનો સ્લેબ તૂટી પડતા એક બાળકીનું મોત થયું હતું. તે પછી મેયર સહિતના પદાધિકારીઓએ અને મનપા કમિશનર દ્વારા બેઠક કરીને તાત્કાલિક અસરથી સરસ્વતી આવાસના 340 જેટલા બિલ્ડિંગના રહેવાસીઓને વડોદ ખાતેના ખાલી પડેલા આવાસોમાં હંગામી ધોરણે ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સરસ્વતી આવાસની દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડીંગ ખુબ જ જર્જરીત બની ગઈ હતી. આમ તો સરસ્વતી આવાસ કેમ્પસમાં મોટાભાગના બિલ્ડીંગ જર્જરિત થયા છે. ત્યારે તેને ઉતારી તેના સ્થાને રીડેવલપમેન્ટ યોજના હેઠળ આયોજન પ્રગતિમાં છે. મનપા દ્વારા બીજી વખત ટેન્ડર ઇસ્યુ કરાયા છે. તમામ આવાસોમાં જરૂરી રીપેરીંગ અનિવાર્ય બની ગયું છે. ત્યારે ઉધના ઝોન દ્વારા સરસ્વતી આવાસમાં તાત્કાલિક શિફ્ટ કરવા માટે લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
સર્વે દરમિયાન જે આવાસોમાં માલિકો રહેતા હોય તે આવાસના લોકોને મેસેજ કરવામાં આવશે. બીજી તરફ વડોદ ખાતે જે આવાસોમાં શિફ્ટીંગ કરવાનું છે તે આવાસોમાં રિપેરિંગની કામગીરી પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.
સરસ્વતી આવાસના 340 અસરગ્રસ્તોને વડોદ સ્થિત આવાસમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અહીં 20 ટાવરના 640 આવાસમાં 2 હજારથી વધુ લોકો રહે છે. 7 વર્ષમાં જ આ આવાસ જર્જરિત બની જતા લોકોના જીવ પર જોખમ ઉભું થયું હતું.
આ પણ વાંચો: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની સુરત મુલાકાત પર સૌની નજર, BJP સ્ટાઇલમાં AAP ની રાજનીતિ
આ પણ વાંચો: રાહુલ ગાંધી હાજીર હો..!! માનહાની કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટનું તેડુ