વાપી-વલસાડ શામળાજી હાઇવે પર ખાડારાજ યથાવત, તંત્ર કામગીરીના નામે ફક્ત થીંગડા જ મારી રહ્યું છે
નોંધનીય છે કે આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર નથી થતા છતાં પણ આ રસ્તા પર ખાડા કાયમ જોવા મળે છે. લોકોને અડચણરૂપ આ ખાડાઓની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન વામણું જ પુરવાર થયું છે.
વાપી (Vapi ) શામળાજી હાઇવે પર વાંસદા (Vansda ) તાલુકામાં તંત્રની બેદરકારીના કારણે લોકોને હજી પણ મસમોટા ખાડાઓનો (Potholes )સામનો કરવો પડી રહ્યો છે. સમારકામ ખર્ચના નામે ધુમાડો કર્યા બાદ પણ તંત્ર દ્વારા નકરી વેઠ જ ઉતારવામાં આવતા પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી હોય ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખાડાને કારણે તો અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે છતાં જવાબદાર અધિકારીઓ મૂકદર્શક બની તમાશો જોઈ રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વાંસદા તાલુકામાં ઠેરઠેર ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોને સમય, શક્તિ અને ઈંધણ નો ખર્ચ વધી જતાં મુશ્કેલી વધી રહી છે. તંત્ર દ્વારા ફક્ત વિકાસની વાતો કરવામાં આવી રહી છે. પણ હવે ચોમાસાની વિદાય થવા જઈ રહી છે, તેમ છતાં ખાડાની પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઇ રહી. માર્ગ મકાન વિભાગની આવી ઢીલી કામગીરી સામે સામાન્ય જનતામાં ભારે કચવાટ ઉઠી રહ્યો છે.
વાંસદા તાલુકામાં ઉનાઈ,ભીનાર,ચઢાવ સહિત ની જગ્યાએ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સામાન્ય વરસાદમાં ખાડાઓ પાણી ભરાવાના કારણે વરસાદ દરમિયાન વાહનો ખાડામાં પડતા અકસ્માતનો ભય રહેલો છે. ઉબડ ખાબડ માર્ગના કારણે વાહનચાલકોના વાહનોમાં ઈંધણ અને મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થઈ ગયો છે. આટલું ઓછું હોય વાહનચાલકો નાના અકસ્માત નો ભોગ બની નાની મોટી ઇજા નો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અનેક વિરોધ કાર્યક્રમો પણ કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પણ કામગીરીના નામે ફક્ત થીંગડા મારીને માત્ર વેઠ જ ઉતારવામાં આવી હોય તેવું સાબિત થઇ રહ્યું છે. નોંધનીય છે કે આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર નથી થતા છતાં પણ આ રસ્તા પર ખાડા કાયમ જોવા મળે છે. લોકોને અડચણરૂપ આ ખાડાઓની સમસ્યા દૂર કરવામાં તંત્ર તદ્દન વામણું જ પુરવાર થયું છે. ત્યારે અધિકારીઓ દ્વારા નિષ્ઠા બતાવીને લોકોને આ ખાડારાજ માંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠવા પામી છે.