Vapi : જીઆઈડીસીમાં લાગેલી આગની ઘટનામાં બે દિવસ બાદ ત્રણ કારીગરોની સળગેલી હાલતમાં લાશ મળી આવી
આગની ઘટના બાદ કામદારો માં અફરાતફરી મચી હતી અને કામ કરતા કામદારો કંપની પરિસરમાંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ ત્રણ કામદારોની લાશ સળગી ગયેલ અવસ્થામાં મળી આવતા કંપનીમાં કામદારોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
વાપી (Vapi ) જીઆઇડીસીની થર્ડ ફેસમાં આવેલ સુપ્રીત કેમિકલ કંપનીમાં ગત શુક્રવારે સવારે આઠ વાગ્યાના સુમારે બ્લાસ્ટ થતા આગ (Fire )લાગી હતી. જે બાદ સરકારી તંત્રના અધિકારીઓ સહીત ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ચાર-પાંચ કલાકની જહેમત બાદ કેમિકલ કંપનીની આગ પર કાબુ પણ મેળવી લીધો હતો. ઘટના સમયે કંપની સંચાલકો અને સરકારી તંત્રે કંપનીમાં ફરજ બજાવતા કામદારોની સ્પષ્ટ ચકાસણી કર્યા વગર જ કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જણાવી દીધું હતું. પરંતુ કંપનીમાં ત્રણ જેટલા કામદારોની સળગી ગયેલી લાશ મળી આવતા તંત્ર ફરી દોડતું થયુ હતું.
બે દિવસ બાદ મળી ત્રણ કર્મચારીઓની સળગી ગયેલી હાલતમાં લાશ
ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ કંપનીના કામદારોને ચેક કરતા કંપનીમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા મહમદ અસલમ મહમદ વાહીદ, રાજુ લક્ષ્મણ પ્રજાપતિ અને અનિલ ફોજદારીપ્રસાદ જયસ્વાલની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી છે. જેથી કંપની સંચાલકે વાપી GIDC પોલીસ મથકે 3 કામદારો આગમાં આકસ્મિત રીતે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની જાણ કરાવી હતી. વધુમાં મળતી માહિતી પ્રમાણે કંપની ના કાટમાળ નીચેથી કારીગરોના મૃતદેહ મળી આવ્યા હતા. આગની ઘટના બાદ કામદારો એક દિવસ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ કંપની સંચાલકો ને જાણ કરી હતી. જોકે 3 કામદારો ગાયબ હોવા છતાં કંપની સંચાલકો મૌન સેવ્યું હતું અને કામદારોના મોત ને છુપાવવા કંપની સંચાલકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેમિકલને કારણે આગે ધારણ કર્યું હતું વિકરાળ સ્વરૂપ
કંપનીમાં આગ લાગી ત્યારે કંપનીમાં વધારાનું પાણી CETPમાં કે STPમાં નાખી શકાય તેવી કોઈ સુવિધાઓ ન હોવાનું સામે આવ્યું હતું. કારણ કે, ફાયરે આગ બૂઝાવવા જ્યારે પાણી અને ફોરમનો મારો ચલાવ્યો ત્યારે કંપનીમાં સ્ટોરેજ થયેલું કેમિકલ કલરયુક્ત પાણી કંપની પરિસર બહાર નીકળી મુખ્ય રસ્તાઓ પર અને વરસાદી ગટરોમાં વહ્યું હતું. બહાર વહી ગયેલ પાણી સ્પષ્ટ કલરયુક્ત દેખાયું હતું. કેમિકલ, પાણી અને આગ ત્રણેય એક થતા આગે પ્રચંડ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
કંપનીમાં કામદારોની સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલો
આગની ઘટના એટલી ભયાનક બની હતી કે ચોમેર અફરાતફરી મચી હતી. નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓની ફરજ પુરી થાય તે પહેલાં જ કંપનીમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આગની ઘટના બાદ કામદારો માં અફરાતફરી મચી હતી અને કામ કરતા કામદારો કંપની પરિસરમાં થી બહાર નીકળી ગયા હતા. પરંતુ ત્રણ કામદારોની લાશ સળગી ગયેલ અવસ્થામાં મળી આવતા કંપનીમાં કામદારોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. આ ઘટનામાં કંપનીનાં સંચાલકોની બેદરકારી હતી કે કેમ તે બાબતે પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.