કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લામાં રસીનો પ્રથમ ડોઝ સપ્ટેમ્બર માસમાં પૂર્ણ કરવા વહીવટીતંત્રને તાકીદ
કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહે બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઝડપથી 100 ટકા રસીકરણ કરવા સૂચના આપી છે. રસીનો પ્રથમ ડોઝ તમામ નાગરિકોને સપ્ટેમ્બર મહિના પહેલા આપવા જણાવ્યું છે.
ગુજરાતના ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ વહીવટીતંત્રને જિલ્લામાં તમામને રસીકરણનો પ્રથમ ડોઝ સપ્ટેમ્બર માસ પૂર્વે પૂર્ણ કરવા તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે તેમણે અમદાવાદ કલેકટર કચેરીએ ધારાસભ્યો ,સાંસદ સભ્યો સહિત અધિકારીઓની બેઠક યોજી હતી. તેમણે બેઠકમાં કેન્દ્ર તેમજ રાજ્યની યોજનાના અમલીકરણ મુદ્દે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઝડપથી 100 ટકા રસીકરણ કરવા અમિત શાહએ સૂચના આપી છે. રસીનો પ્રથમ ડોઝ તમામ નાગરિકોને સપ્ટેમ્બર મહિનામાં આપવા જણાવ્યું છે.અમદાવાદ જિલ્લાના કેટલાંક અંતરિયાળ ગામોમાં ગ્રામજનો હજુ પણ વેક્સિન લીધી નથી. અમદાવાદના અલગ-અલગ તાલુકામાં હજુ પણ મોટાભાગના ગ્રામજનો વેક્સિન લેવા માટે આનાકાની કરી રહ્યા હોવાનું અધિકારીઓએ ગૃહ મંત્રી અમિત શાહને જણાવ્યું હતું
કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં ડિસ્ટ્રીક ડેવલોપમેન્ટ કો ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભા અને રાજ્યસભાના સાંસદ, અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને DDO સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો અંગે અમિત શાહનું મહત્વનું સૂચન કર્યું છે. ડાંગર પકવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અધિકારીઓને મહેનત કરવા જણાવ્યું છે.
અમદાવાદ જિલ્લામાં ડાંગરની ખેતી સાથે બાગાયતી ખેતી વધે તેવા પ્રયાસ કરવા સુચન કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓને જ મળે તેની કાળજી લેવા પર શાહે ભાર મુક્યો. વધુમાં વધુ લોકો સુધી યોજનાની માહિતી અને લાભ પહોંચે તે રીતે કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું છે.
આ અંગે અમદાવાદ કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની આયુષમાન યોજનાનો લાભ સૌથી વધુ મળે તે માટે કેન્દ્રીય મંત્રીએ સૂચન આપ્યા છે. આ ઉપરાંત ખાસ સ્વામિત્વ યોજના પર વધારે ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. સ્વામિત્વ યોજના માટે અમદાવાદ મોડલ રહે અને આ યોજનાની શરૂઆત અમદાવાદ થી થાય તે દિશામાં કાર્ય કરવા ખાસ સુચન તેમણે કર્યું છે.
આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો મોડેલ ખેતી કરે અને તેમજ પાણીનો બગાડ ઓછો થાય તે દિશામાં કામ કરવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ
આ પણ વાંચો : પતિ-પત્નીએ મળીને પહેલા પુત્ર અને પુત્રીની ગળું કાપ્યું, બાદમાં ગટગટાવ્યું ઝેર, જાણો સમગ્ર મામલો