સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે
ગત 9 ડિસેમ્બરના રોજ જશ સંજીવભાઈ ઓઝા પાડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો.
ગત 9 ડિસેમ્બરના રોજ જશ સંજીવભાઈ ઓઝા પાડોશીના ઘરે રમતી વખતે બીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયો હતો. જેથી તેના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. ડૉકટરો દ્વારા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી 7 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી છે અને સમાજને નવી દિશા બતાવી છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની 30મી અને ફેફસાંના દાનની 5મી ઘટના છે. સુરતથી ચેન્નાઈનું 1,615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને MGM હોસ્પીટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી 4 વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી 4 વર્ષીય બાળકમાં કરવામાં આવ્યું છે.
જ્યારે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું છે. સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે. બાળકોને નવજીવન આપવા માટે હૃદય પર પથ્થર મૂકી પિતાએ નિર્ણય લીધો. પોતાનો વ્હાલસોયો પુત્ર બ્રેઈનડેડ છે તે સાંભળીને પિતા સંજીવ, માતા અર્ચના તેમજ પરિવારના અન્ય સભ્યો ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. પિતા સંજીવ અને પરિવારે થોડી સ્વસ્થતા મેળવ્યા પછી નિલેશ માંડલેવાલાએ ઓઝા પરિવારને જણાવ્યું કે તમારો લાડકવાયો પુત્ર જશ બ્રેઈનડેડ છે, ત્યારે તમારી પાસે બે વિકલ્પ છે, ડૉકટરોને જશની ટ્રીટમેન્ટ ધીમે ધીમે બંધ કરવાનું કહેવું અથવા તો તેના અંગોનું દાન કરાવી જે દર્દીઓના અંગોની જરૂર હોય તેમને નવજીવન આપવા તરફ આગળ વધવું.
જશના પિતા સંજીવ કે જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ વિશે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હતા, તેમણે હૃદય ઉપર પથ્થર મૂકી કહ્યું કે આજે મારો બાબુ (જશનું લાડકું નામ) ભલે નથી રહ્યો, પરંતુ તમે તેના અંગોનું દાન કરાવી અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધો. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યારપછી પિતા સંજીવે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહી પોતાની પત્નીને પણ જશના અંગદાન કરાવવા માટે રાજી કરી.
આ પણ વાંચો: સુરત: 10 વર્ષ અગાઉના હત્યા કેસમાં નાસતો ફરતો આરોપી પોલીસના સકંજામાં
માતા જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે, જશની માતાને આશા હતી કે હજુ પણ કંઈક ચમત્કાર થઈ શકે છે અને મારો પુત્ર ઉભો થઈને મમ્મી-મમ્મી બોલશે. તેથી તેમણે વધુ એક દિવસ રાહ જોવા જણાવ્યું. ત્યારે નિલેશ માંડલેવાલાએ તેમને સમજાવ્યું કે દર્દી બ્રેઈનડેડ જાહેર થયા બાદ ધીમે ધીમે તેના દરેક અંગો બગડતા જાય છે. એક દિવસ પછી કદાચ અમુક અંગોનું દાન ન પણ થઈ શકે. ત્યારે જશની માતા અર્ચનાએ જણાવ્યું કે તેઓ જશને વધુને વધુ બાળકોમાં જોવા માંગે છે. જશની માતાએ પોતાના ફૂલ જેવા કોમળ બાળકના વધુને વધુ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવી શકે તે માટે પોતાના હૃદય ઉપર પત્થર મૂકી પોતાના વ્હાલસોયા બાળકના અંગદાનની મંજૂરી આપી.