સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 14 મજુર પરિવારની દિકરીને આપવામાં આવી વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય
વ્હાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જેમાં દીકરી (daughter) ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, ધોરણ 9 માં પ્રવેશ મળે ત્યારે 6000 રૂપિયા તથા 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય મળે છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar News) વિવિધ ગામોમાં 20 વર્ષનાં વિકાસની વાત પહોંચાડવા સાથે યોજનાકીય લાભો પણ પહોંચાડી રહી છે. લાભાર્થીઓને જે અલગ-અલગ યોજનાઓ અંતર્ગત લાભોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તે પૈકી વ્હાલી દિકરી યોજના અંતર્ગત ધાંધલપુરના નિવાસી સાગઠીયા હસુભાઈ દેવાભાઇની દીકરી સાક્ષીને આ યોજનાનો લાભ મળ્યો છે. પરિવારના સભ્ય સાગઠીયા બાબુભાઈ જણાવે છે કે હાલ અમે છૂટક મજૂરી કામ કરીએ છીએ.
પરિવારમાં દીકરીનાં આગમનથી ખુશી તો હતી પણ સાથે સાથે ભણતર અને લગ્નનાં ખર્ચ બાબતે ચિંતા હતી. ત્યારે અમને આ યોજના વિશે માહિતી મળીને અમે યોજનાની સહાય માટે ફોર્મ ભર્યુ. થોડા સમયમાં સહાયને મંજૂરી પણ મળી ગઈ. આ યોજના હેઠળ દિકરીને 1 લાખ 10 હાજર જેટલી રકમ હપ્તામાં મળશે. આ રૂપિયાનો ઉપયોગ અમે દીકરી સાક્ષીને ખૂબ ભણાવવા માટે કરીશું. દિકરીઓનાં સારા ભવિષ્યની ચિંતા આ સહાયથી ઘણી હળવી બનશે. તેના માટે સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે આ સહાય
વ્હાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે જેમાં દીકરી ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, ધોરણ 9 માં પ્રવેશ મળે ત્યારે 6000 રૂપિયા તથા 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય મળે છે. સાયલા તાલુકામાં વ્હાલી દીકરી યોજના અંતર્ગત કુલ 117 મંજૂરી હુકમ આપવામાં આવ્યા છે. ધાંધલપુર વિસ્તારના ટીટોડા સહિતના ગ્રામ્ય વિસ્તાર માં કુલ 14 પરિવારને આ વ્હાલી દીકરી યોજનાઓ લાભ મળ્યો હતો.
5 જુલાઈથી શરૂ થઈ વંદે ગુજરાત વિકાસ યાત્રા
ગુજરાતના 20 વર્ષના પુરુષાર્થને, 20 વર્ષના વિશ્વાસને, 20 વર્ષના વિકાસને વંદન કરવા અને જન જનને ગુજરાતની વિકાસયાત્રાથી વાકેફ કરવા સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’નું આયોજન કરાયું છે. 82 વંદે ગુજરાત વિકાસ રથ સાથે 5થી 19 જુલાઈ દરમિયાન યોજાનારી આ યાત્રા રાજ્યના ૩૩ જીલ્લાઓ, 8 મહાનગર પાલિકાઓ અને તમામ ગામડા-વોર્ડમાં પરિભ્રમણ કરશે. જે અંતર્ગત રાજ્યભરમાં 2500થી વધુ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે તેમજ નવા વિકાસ કાર્યોની ઘોષણા અને લોકાર્પણ કરવામાં આવશે.