શિવસેનાના ધારાસભ્યોને સુરતથી ગુવાહાટી એરલિફ્ટ કરવાની તૈયારી, ત્રણ ચાર્ટર્ડ પ્લેન સુરત એરપોર્ટ પર તૈયાર
શિવસેનાના 35 ધારાસભ્ય તેમના OSC અને ઓફિસરો સહિત 65 લોકોને બસમાં એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. હોટેલથી 3 બસો મારફતે આ તમામને સુરત એરપોર્ટ લાવવામાં આવશે. જ્યાંથી તેઓ આસામ જવા રવાના થશે.
મહારાષ્ટ્રના રાજકીય ગરમાવો (Maharashtra Political Crisis)વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતની લે મેરીડિયન હોટલમાં, જ્યાં શિવસેના સામે બળવો કરનાર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde Shiv Sena) અને તેમના સમર્થક ધારાસભ્યો રોકાયા છે, તેઓને આસામની રાજધાની ગુવાહાટીમાં એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમને મધ્યરાત્રિએ અહીંથી એરલિફ્ટ (Airlift from surat to guwahati) કરીને લઈ જવામાં આવશે. લગભગ 12:30 પછી તેમને લઈ જવામાં આવશે. આ ધારાસભ્યોને અહીંથી લેવા માટે ત્રણ ચાર્ટર્ડ પ્લેન સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે. સ્પાઈસ જેટના ત્રણ ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને આ ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે.
ગુજરાત મહારાષ્ટ્રનું પડોશી રાજ્ય હોવાના કારણે ત્યાં રોકાતા ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો છે. એક ધારાસભ્ય કૈલાશ પાટીલ મુંબઈ પરત ફર્યા છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યોને મહારાષ્ટ્રથી દૂર લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. બળવાખોર ધારાસભ્યો અને તેમના પીએ સાથે કુલ 65 લોકો હોવાનું કહેવાય છે. 3 બસો પણ લે મેરીડિયન હોટેલ પહોંચી ગઈ છે. એરપોર્ટ પર 3 ચાર્ટર્ડ પ્લેન હાજર છે. આ ધારાસભ્યોને કડક સુરક્ષામાં સુરત એરપોર્ટ પર લઈ જવામાં આવશે અને ત્યાંથી આ તમામ ધારાસભ્યો ટેક ઓફ કરશે.
શિવસેનાના 35 ધારાસભ્ય તેમના OSC અને ઓફિસરો સહિત 65 લોકોને બસમાં એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. હોટેલથી 3 બસો મારફતે આ તમામને સુરત એરપોર્ટ લાવવામાં આવશે. તેઓ પાસે સામાન વધુ હોવાથી તમામ લોકોને બસમાં લાવામાં આવશે. આ બસો સુરત એરપોર્ટના પાછળના રસ્તેથી લઈ જવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત જાણવા મળી રહી છે. સુરત પોલીસ કમિશનરે પણ એરપોર્ટની વિઝટ કરી છે.
આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેને સાથ આપનારા ધારાસભ્યો સામે શિવસેના કાર્યવાહી કરવાની વાત કરી રહી છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે રાજનીતિમાં કંઈ પણ શક્ય છે. અમે માત્ર રાહ જોઈ રહ્યા છીએ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એકનાથ શિંદે કે ભાજપે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો નથી. અત્યાર સુધી એવી સ્થિતિ સર્જાઈ નથી કે અવિશ્વાસ પ્રસ્તાવ માટે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવે. 18 જુલાઈથી વિધાનસભાનું સત્ર શરૂ થશે.