સુરતના (Surat) ઉધનાથી સચિન સુધીનો BRTS અને સિટીબસ રૂટ કાળનો કોળિયો બની રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. ઉધનાથી સચિન સુધીના સિટી બસ રુટ પર એક પછી એક અકસ્માતની (Accident) ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ આ રુટ પર સામે આવ્યો છે. પાંડેસરા પોલીસ સ્ટેશન (Pandesara Police Station) હદ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પાંડેસરા યુનિટી એસ્ટેટ પાસે કામનાથ મહાદેવ BRTS રૂટ પર એક સિટી બસે એક રાહદારીને ઉડાવ્યો હતો. અકસ્માતમાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયુ છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક રાહદારી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સિટી બસે આ રાહદારીને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં રાહદારીનું માથુ સ્થળ પર ધડથી અલગ થઈ ગયુ હતુ. અકસ્માતને પગલે આ માર્ગ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો સિટી બસના ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ સુરતના મોટા વરાછા વેલંજા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. એક બાઈક પર વૃદ્ધ દંપતી અને એક યુવતી જઈ રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પણ બાઈક સવાર વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ હતું. જ્યારે બાઈક પર સવાર યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત બાદ દંપતીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. સુરતમાં માત્ર 12 કલાકમાં બે ગમખ્વાર અકસ્માત થયા છે. જેમાં ત્રણના મોત થયા છે. સાથે સાથે સુરતમાં સિટી લિંક બસ અને BRTS તેમજ ડમ્પર ચાલકો પણ બેફામ બની રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ વધુ 300 જેટલી બેઠકો ઉપર પ્રવેશ અપાશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 5:17 pm, Tue, 19 April 22