ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત મહિધર પુરા હીરા બજારની મુલાકાત લીધી હતી તેમજ હીરાના વેપારીઓ અને કારીગરો સાથે મળીને અનેક મુદ્દે ચર્ચા કરી હતી. સાથે સાથે હીરા બજારની પોતાની જૂની યાદો વાગોળી સંસ્મરણો યાદ કર્યાં હતા તેમજ પોતે નાનપણના ઓટલા પર બેસી ચાની ચૂસકી લગાવી હતી અને તે યાદો પણ વાગોળી હતી.
સુરત શહેર હીરા નગરી તરીકે દેશભરમાં જાણીતું છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ત્યારે સુરતમાં હીરા વેપારીઓ સાથે ઠગાઈ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ દરમ્યાન આજે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા સ્થિત આવેલા હીરા બજારની ઓચીંતી મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીએ અહીં હીરા વેપારીઓ તેમજ અહીં કામ કરતા હીરા દલાલ સાથે અનેક મુદાઓને લઈને ચર્ચાઓ કરી હતી અને તેઓની સમસ્યા જાણી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું હું હીરા બજારમાં આવ્યો છું તો કંઈક આપીને જઈશ અને હીરા બજારની જે પોલીસ ચોકી છે તેને અદ્યતન બનાવાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે અહીં સ્ટાફ વધારવામાં આવશે, અહીં નાના મોટા વેપારીઓને જે ફરિયાદો છે તેને ઉકેલવામાં આવશે, કારણ કે મારા સુરતનો વેપારી સૌરાષ્ટ્ર હોય કે ઉતર ગુજરાત કે પછી દેશ વિદેશના વેપારીઓ. અહીં અનેક લોકો સુરતના હીરા ઉઘોગના વ્યવસાય સાથે જોડાયેલા છે.
સુરત શહેરના કોઈ વેપારીનો માલ કે જે વિશ્વાસ ઉપર આપ્યો હોય અને તેની સાથે વિશ્વાસ ઘાત થાય તો વિશ્વાસઘાત કરનારી વ્યક્તિ માત્ર સુરતમાં જ નહી પરંતુ તે દેશના કોઈ પણ ખૂણામાં હોય તો તેને પકડીને લાવવાની વ્યવસ્થા કઈ રીતે થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે આયોજન ઉપર મારું અંગત ધ્યાન છે. આવનારા દિવસોમાં અહિયાં વધુ સ્ટાફ આપીને વેપારી સાથે ચીટીંગ કરનાર વ્યક્તિને શોધીને લાવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની જવાબદારી મારી છે.
મુલાકાત દરમ્યાન રાજકોટ યુનિવર્સીટી કેમ્પસમાંથી મળી આવેલ શંકાસ્પદ ગાંજાના છોડ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ મામલે તપાસ એફએસએલને સોંપવામાં આવી છે. એફ એસ એલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે. આ રિપોર્ટ મોડી સાંજ સુધીમાં આવી જશે. તેમજ તપાસ માટે સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…