Surat : આ વખતે જન્માષ્ટમીની પણ ધૂમ મચશે, ભાગળ ચાર રસ્તા પર 1 લાખની દહીં હાંડીનું આયોજન
સુરત(Surat ) શહેર ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેમને 11 હજાર રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.
જન્માષ્ટમીના (Janmashtami )દિવસે સુરત શહેરમાં ભાગળ(Bhagal ) ચાર રસ્તા ખાતે દર વર્ષે દહીંહાંડી એટલે કે મટકીફોડનો (Matkifod )કાર્યક્રમ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ મટકીફોડ કાર્યક્રમ ઉજવાઈ શક્યો ન હતો. જો કે આગામી તા. 19મી શુક્રવારના રોજ જન્માષ્ટમીના દિવસે સાંજે 4.30 કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પણ પૂર્ણ થઇ રહ્યા છે તેમજ આ વર્ષે ગોવિંદા મંડળોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના દિવસે મટકી ફોડના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી સંભાવના છે.
એક લાખની મટકી ફોડાશે :
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના સભ્યો તેમજ ગોવિંદા મંડળોની મળેલી બેઠકમાં ભાગળ ચાર રસ્તા ખાતે પહેલી વાર એક લાખ રૂપિયાની મટકી ફોડવાનું નક્કી કરાયું છે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થયા છે. જેના માટે સી. આર. પાટીલ દ્વારા રૂપિયા એક લાખનું ઇનામ જાહેર કરવામાં આવેલ છે, જે ગોવિંદા મંડળ વધારે પિરામિડ કરશે તે પ્રમાણે તેમને એક લાખની મટકી ફોડવાની તક આપવામાં આવશે. જેમાં અંદાજે 8 પિરામિડ બનશે અને મટકી 40 ફુટ ઊંચી બાંધવામાં આવશે. આ વર્ષે ભાગળ ચાર રસ્તા ખાતે કુલ ચાર મટકી ફોડવામાં આવનાર છે. જેમાં અંબાજી રોડનું જય ભવાની મહિલા મંડળ દ્વારા પ્રથમ મટકી ફોડવામાં આવશે. જેઓને પણ 11 હજારનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે.
આ વર્ષે 132 ગોવિંદા મંડળો નોંધાયા :
સુરત શહેર ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેમને 11 હજાર રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. જેમાં અડાજણ વિસ્તારનું બાળગણેશ યુવક મંડળ જોડાશે જેઓને પણ 5100 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. આ વર્ષે સૌથી જુના જય ભવાની સ્પોર્ટ્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી તેઓને પણ એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે. જેઓને 11 હજાર રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.અત્યાર સુધી 128 ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 4 ગોવિંદા મંડળોનો વધારો થયો છે. જેથી અત્યારસુધી સુધી 132 ગોવિંદા મંડળ નોંધાયા છે.