Surat: શહેરના ઐતિહાસિક કિલ્લાના બીજા તબક્કાનું કામ પૂરું, સંપૂર્ણ કિલ્લો જોવા વધુ રૂપિયા ચૂકવવા પડશે
લોકોની માંગણી એ પણ છે કે ટિકિટના (Ticket) દરમાં થોડી રાહત આપવામાં આવે, જેથી મોટી સંખ્યામાં લોકો કિલ્લાની મુલાકાત લઇ શકે અને સુરતના ઐતિહાસિક વારસાને જાણી શકે.
સુરત શહેરના ઐતિહાસિક (Historical) વારસાને જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ (Heritage) સ્કવેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લાને (Fort) નવું રૂપ આપવામાં આવ્યું છે. હાલ શહેરના આ કિલ્લાનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. તેવામાં મહાનગરપાલિકા દ્વારા કિલ્લામાં પ્રવેશ માટેની ફીમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કિલ્લામાં પ્રથમ ફેઝની મુલાકાત જ લોકો લઈ શકતા હતા પણ હવે બીજા ફેઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જેથી મુલાકાતીઓ સંપૂર્ણ કિલ્લાની મુલાકાત લઈ શકશે.
જોકે તેના માટે મહાનગરપાલિકાએ ટિકિટના દર નિયત કર્યા છે. હાલમાં એ1, એ2 અને એ3 બિલ્ડીંગ માટે ટિકિટનો દર 3થી 16 વર્ષના બાળકો માટે 20 અને 16થી 60 વર્ષ સુધીના લોકો માટે 40 રૂપિયા તેમજ સિનિયર સીટીઝન માટે 20 રૂપિયા નક્કી કરાયા છે. સંપૂર્ણ કિલ્લો ખુલ્લો મુકાયા બાદ આ ટિકિટનો દર 3થી 16 વર્ષના બાળકો માટે અને સિનિયર સીટીઝન માટે 50 રૂપિયા, 16 થી 60 વર્ષ સુધીના લોકો માટે 100 રૂપિયા ટિકિટના દર નક્કી કરાયા છે.
આ ઉપરાંત કિલ્લામાં વધુ મુલાકાતીઓ આવે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપ પણ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના 500 વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 5 હજાર ફી અને કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક 10 હજાર ફી નક્કી કરવામાં આવી છે. જોકે કોર્પોરેશન દ્વારા આ જે ફી વધારવામાં આવી છે, તેની સામે શહેરીજનોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.
કારણ કે સુરતમાં હરવા ફરવાના સ્થળોની સંખ્યા ઘણી ઓછી છે અને તેની પણ ફી વધારે હોવાથી લોકો હરવા ફરવા માટે કશે જઈ શકતા નથી. લોકોનું કહેવું છે કે સુરતમાં આ કિલ્લાની મુલાકાત લેવી હોય તો એક પરિવારે એક મુલાકાત માટે 500 રૂપિયા સુધી ખર્ચ કરવા પડે, તેના કરતા તાજમહેલ, લાલ કિલ્લા અને આગ્રા ફોર્ટની કિંમત સસ્તી છે. લોકોની માંગણી એ પણ છે કે ટિકિટના દરમાં થોડી રાહત આપવામાં આવે, જેથી મોટી સંખ્યામાં લોકો કિલ્લાની મુલાકાત લઇ શકે અને સુરતના ઐતિહાસિક વારસાને જાણી શકે.