Surat : સુરતીઓને હરવા ફરવાની વધુ સુવિધા મળશે, 19 કરોડના ખર્ચે લેક ગાર્ડન ડેવલપ કરાશે
હવે વધારે લેક ગાર્ડન(Garden ) ડેવલપ કરવા માટે કોર્પોરેશન આગળ વધી રહી છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે હવે ઝોન વાઈઝ લેક ગાર્ડન પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા શહેરનાં જે જૂનાં તળાવો (Lake )છે તેના ડેવલપમેન્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. તેની આસપાસનો વિસ્તાર ડેવલપ (Develop) કરવા આયોજન કરવામાં આવ્યું છે. તળાવના આસપાસની જે રાજ્ય સરકાર હસ્તકની જમીનો હશે તેનો કબજો મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે. શહેરમાં ઘણા લેક ગાર્ડન ડેવલપ કરાયા છે ને વધુ લેક ડેવલપ કરવા માટે ગાર્ડન સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં ઉધના-બી ઝોનમાં 2 અને એક અઠવા ઝોનમાં એમ કુલ 3 લેક ગાર્ડન માટે રૂા. 19 કરોડનો અંદાજ ગાર્ડન સમિતિ સમક્ષ મુકવામાં આવ્યો છે. હાલના બજેટમાં મનપા કમિશનર દ્વારા 15 તળાવના ડેવલપમેન્ટની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ સુરતમાં આવેલા તમામ 38 તળાવ ડેવલપ કરવાનું મનપાનું આયોજન છે.
નોંધનીય છે કે સુરત શહેરમાં હરવા ફરવા લાયક સ્થળોની સંખ્યા ખુબ ઓછી છે. ત્યારે શહેરના ગાર્ડન અને તળાવોને જ ડેવલપ કરીને ત્યાં જ રમણીય સ્થળ ઉભા કરવાની દિશામાં સુરત મહાનગરપાલિકા સતત કાર્યશીલ છે. અને એટલા માટે જ હવે વધારે લેક ગાર્ડન ડેવલપ કરવા માટે કોર્પોરેશન આગળ વધી રહી છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે હવે ઝોન વાઈઝ લેક ગાર્ડન પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જાણો કયા ઝોનના લેક ગાર્ડનને કરવામાં આવશે ડેવલપ ?
શહેરીજનોને હરવા ફરવા માટે શહેરના તમામ તળાવોને ડેવલપ કરવાનું આયોજન મનપા દ્વારા કરાયું છે. જે અંતર્ગત તબક્કાવાર શહેરના લેક ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના વધુ 3 લેક ગાર્ડન ડેવલપ કરવા માટે ગાર્ડન સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં ઉધના બી ઝોનમાં ગર્ભણી, સર્વે નં. 392, બ્લોક નં. 460 ખાતે કુલ ક્ષેત્રફળ 39,145 ચો.મી જગ્યામાં આવેલા લેકને કુલ રૂા.5.74 કરોડના ખર્ચનો અંદાજ તેમજ ઉધના-બી ઝોનમાં બુડીયા સર્વે નં. 31, બ્લોક નં. 129 ખાતે નં. 129 ખાતે કુલ ક્ષેત્રફળ 46,255 ચો.મી જગ્યામાં આવેલા લેકને કુલ રૂા 5.56 કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.
અને અઠવાઝોન વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 26( આભાવા), ફા.પ્લોટ નં. 17 (તળાવ) તથા ફા.પ્લોટ નં. 195 (ગાર્ડન) તેમજ ફા. પ્લોટ નં. 21 (તળાવ) તથા ફા. પ્લોટ નં. 200 (ઓપન સ્પેસ) ખાતે આવેલા 3 તળાવ ડેવલપ કરવાનું આયોજન કરાયું છે. જેનું કુલ ક્ષેત્રફળ જોવા જઈએ તો 54,267 ચો.મી છે અને તે માટેનો ખર્ચનો અંદાજ પણ રૂ. 7.72 કરોડ આંકવામાં આવ્યો છે. જે માટે હવે મળનારી ગાર્ડન સમિતિમાં નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં નાનાં-મોટાં કુલ 192 તળાવ આવેલા છે. જે પૈકી મોટા 38 તળાવની આસપાસનો વિસ્તાર પણ ડેવલપ કરવામાં આવશે.