Surat : રાષ્ટ્રપર્વની ઉજવણી બાદ તિરંગાના માન સન્માન માટે મુકાઈ રક્ષા પેટી
જો કોઈ વ્યક્તિને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ(Flag ) મળી આવે તો તેને રસ્તે રઝળતો મુકવાને બદલે તેઓ તે તિરંગાને આ રક્ષાપેટીમાં મૂકી શકે છે.
ભારતીય સંસ્કૃતિમાં આમ તો અનેક તહેવારો(Festival ) આવે છે. પણ આ બધા તહેવારો કરતા પણ રાષ્ટ્રીય (National )તહેવારો વિશેષ છે. આપણે જાણીએ છીએ તેમ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ આવતા દેશપર્વને મનાવવા દેશવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. અને આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.
જેને ધ્યાનમાં રાખીને 15 ઓગસ્ટ પહેલા જ દેશભક્તિનો માહોલ આખા શહેરમાં છવાઈ ગયો હતો. જ્યાં જુઓ ત્યાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. જોકે આ બધાની વચ્ચે રાષ્ટ્રધ્વજનું સન્માન પણ જળવાઈ તે જરૂરી છે. અને તે દિશામાં પણ કામગીરી કરવી ખુબ જ આવશ્યક છે. ત્યારે સુરતના એક ગ્રુપ દ્વારા આ માટેની પહેલ કરવામાં આવી છે.
તિરંગાના સન્માનમાં મુકાઈ રક્ષાપેટી :
સુરતના એક ગ્રુપ “બી ફોજી” દ્વારા શહેરના કારગિલ ચોક, ડુમસ રોડ ખાતે અને અમરોલી ખાતે તિરંગા રક્ષાપેટી મુકવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ મળી આવે તો તેને રસ્તે રઝળતો મુકવાને બદલે તેઓ તે તિરંગાને આ રક્ષાપેટીમાં મૂકી શકે છે.
દરેક વિસ્તારમાં રક્ષાપેટી મુકવાનું આયોજન :
આ ગ્રુપના સભ્યનું કહેવું છે કે લોકો રાષ્ટ્રધ્વજ તો ઉત્સાહમાં આવીને ફરકાવતા હોય છે. પણ રાષ્ટ્રપર્વ પૂર્ણ થયા પછી તિરંગાનું યોગ્ય માન સન્માન જળવાતું નથી. અને તિરંગા રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળે છે. જેથી બે વર્ષ પહેલા અમારા દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે. અમે શહેરના અનેક વિસ્તારોમાં પણ આ રક્ષાપેટી મુકવાનું આયોજન કર્યું છે. અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો તેઓને રસ્તા પર તિરંગો જોવા મળે તો તેઓ તેને આ રક્ષાપેટીમાં મૂકીને અમને સુપરત કરે, અમે તેનો માન સન્માન સાથે નિકાલ લાવીશું.