Surat : સુરતની ત્રિરંગાયાત્રાની પીએમ મોદીએ કરી સરાહના, સુરતીઓના મિજાજ અને તાકાતની ભરપેટ પ્રસંશા
સુરત (Surat )એક વાર સંકલ્પ કરે છે તો એને કોઇ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે.
આઝાદીના 75માં અમૃત મહોત્સવ નિમિતે આગામી 13 થી 15 ઓગસ્ટ સુધી સરકારે હર ઘર તિરંગાનું આહવાન કર્યું છે. ત્યારે બુધવારે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના ભગવા યાત્રા સમિતિ અને સાકેત ગ્રુપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર કિમી લાંબી આ યાત્રામાં 20 હજારથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો જોડાયા હતા. આ યાત્રામાં 12 જેટલી ઝાંખીઓ તૈયાર કરવામાં આવી હતીઅને લાઇવ સંગીત અને ઢોલ નગારા સાથે તમામ તિરંગા યાત્રામાં ઝુમી ઉઠયા હતા.
ભર વરસાદમાં પણ નીકળેલી ત્રિરંગાયાત્રાએ રાખ્યો રંગ
આઝાદીના 75માં અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે સરકારે આગામી 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આહવાન કર્યું છે. ત્યારે સમગ્ર દેશમાં તિરંગા બનાવીને મોકલનાર સુરતના કાપડ વેપારીઓ દ્વારા ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આયોજન વેપારીઓ દ્વારા નિર્મિત ભગવા યાત્રા સમિતિ અને સાકેત ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. સુરત રીંગરોડ એસટીએ માર્કેટ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને ભર વરસાદમાં પણ 20 હજારથી વધુ કપડાના વ્યાપારીઓ, શ્રમિકો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટર્સ, સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત કિન્નરોનું સમૂહ પણ આ યાત્રામાં જોડાયું હતું.
સુરત એકવાર સંકલ્પ કરે છે તો તેને કોઈપણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે : વડા પ્રધાન મોદી
સુરતના રિંગ રોડ ખાતે ટેક્ષટાઇલ વ્યાપારીઓ દ્વારા આયોજિત ભવ્ય તિરંગાયાત્રા પ્રસંગે વીડિયો સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ભારતના ત્રિરંગામાં માત્ર ત્રણ જ રંગો નથી, પરંતુ તે દેશના ગૌરવશાળી ભૂતકાળ, વર્તમાન પ્રત્યેની આપણી કટિબદ્ધતા અને ભવિષ્યમાં દેશ માટે જોયેલું આપણા સપનાનું પ્રતિબિંબ છે. આપણો ત્રિરંગો ભારતની એકતા, ભારતની અખંડિતતા અને ભારતની વિવિધતાનું પ્રતિક છે.
તિરંગા યાત્રાને વર્ચ?યુઅલ માધ્યમથી સંબોધતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આપણો રાષ્ટ્રધ્વજ દેશના કાપડ ઉદ્યોગ, ખાદી અને આપણી આત્મનિર્ભરતાનું પ્રતિક છે. સુરતે હંમેશા કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કર્યો છે. વડાપ્રધાને સુરતીઓ અને વિશેષતઃ કાપડ ઉદ્યોગકારોની સરાહના કરતા કહ્યું કે, સુરત એક વાર સંકલ્પ કરે છે તો એને કોઇ પણ કિંમતે પૂર્ણ કરવાનો મિજાજ અને તાકાત ધરાવે છે. મોજીલા સુરતીલાલાઓની દેશભક્તિ સરાહનાને પાત્ર છે. સુરતના લોકોએ સ્વતંત્રતાની ભાવના જીવંત કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.