Surat : પીએમ મોદી ખુદ સુરતની મુલાકાતને લઈને ઉત્સાહિત, ટ્વીટના માધ્યમથી કહ્યું સુરત આવવા આતુર
સમગ્ર રસ્તા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવી લેતા પોસ્ટર અને હોર્ડિંગ્સ સહિત તેમના હસ્તે જે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત થનાર છે તેના પોસ્ટરો પણ મુકવામાં આવ્યા છે.
શહેરના લિંબાયત ખાતે નિલગીરી ગ્રાઉન્ડ પર વડાપ્રધાન(PM) નરેન્દ્ર મોદીની જાહેર સભાને હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા સભા સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં સુરક્ષા (Security )વ્યવસ્થા સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા દરમ્યાન યોજાનારા રોડ શોને ભવ્યાતિભવ્ય સફળ બનાવવા માટે ભાજપ દ્વારા પણ કમર કસવામાં આવી છે. ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંદાજે ત્રણ કિલોમીટર લાંબા રોડ શોમાં 50 હજારથી વધુ જનમેદની એકઠી કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ પણ સુરતની મુલાકાતને લઈને એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેઓએ સુરતની મુલાકાત માટે તેઓ પોતે કેટલા ઉત્સાહિત છે તે જણાવ્યું હતું.
I am eager to be in Surat tomorrow. This city has shown how hardwork can lead to wonders. Among Surat’s biggest strengths is the city’s diversity – people across states and cultures are happily living and working there. Works worth Rs. 3400 crore will be dedicated to the nation.
— Narendra Modi (@narendramodi) September 28, 2022
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન દરમ્યાન તેઓના સન્માન માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિલગીરી ગ્રાઉન્ડ પર સવારે યોજાનાર જાહેર સભા દરમ્યાન મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ડોમ સહિતની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા સહિતના પરિબળોને ધ્યાને રાખીને પોલીસ – કલેકટર અને મનપા તંત્ર દ્વારા સંકલન કરવામાં આવ્યું છે.
ગોડાદરા ખાતે મહર્ષિ આસ્તિક સ્કુલની બાજુમાં બનાવવામાં આવેલા હેલિપેડ પર ઉતરાયણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સન્માનના ભાગરૂપે 2.70 કિલોમીટર સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો દરમ્યાન રસ્તાની બન્ને બાજુ અંદાજે 50 હજાર લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહે તે માટે ભાજપ સંગઠન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
2.70 કિલોમીટરના રોડ શો દરમ્યાન ઠેર – ઠેર 20 સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં સુરતને કર્મભૂમિ બનાવનારા અલગ અલગ સમાજ અને સંગઠન દ્વારા વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બીજી તરફ જાહેર સભા સ્થળે એક લાખથી વધુ જનમેદની ઉમટી પડે તેવી પણ શક્યતાઓને પગલે ડોમની સાથે સાથે સભા સ્થળની પાસે આવેલ એક અન્ય ખુલ્લા પ્લોટની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
જે વિસ્તારમાં રોડ શોનું આયોજન થવાનું છે તે સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે – સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશાળ કટ આઉટ્સ મુકવામાં આવ્યા છે. આ સિવાય સમગ્ર રસ્તા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવી લેતા પોસ્ટર અને હોર્ડિંગ્સ સહિત તેમના હસ્તે જે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત થનાર છે તેના પોસ્ટરો પણ મુકવામાં આવ્યા છે.
સમગ્ર વિસ્તારમાં રસ્તાની બન્ને બાજુઓ પર વડાપ્રધાનના આગમનને વધાવી લેવા માટે સુશોભન સાથે સાથે રસ્તાની બન્ને બાજુ બેરીકેડ ઉભા કરવામાં આવ્યા છે. અંદાજે 50 હજારથી વધુ જનમેદની દ્વારા વડાપ્રધાનના ભવ્ય સ્વાગત બાદ જાહેર જનતા તેઓના પોસ્ટર સાથે સેલ્ફી પણ લઈ શકશે.