Surat : જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રીઓને પોલીસના નામે ધમકાવી નાણાં પડાવતો શખ્સ ઝડપાયો
ગત 18મી મેના રોજ મોબાઇલ ફોન પર એક યુવકે પોતાની ઓળખ કતારગામ પોલીસ ચોકીથી રિવરાજ બોલું છું તેમ આપીને તમારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કતારગામ પોલીસ ચોકી પર આવો તેમ જણાવી ધાક-ધમકી આપી બળજબરી રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી.
સુરત (Surat) માં જ્યોતિષો (astrologers) અને વાસ્તુશાસ્ત્રીઓને ફોન ઉપર પોલીસ (Police) અધિકારી હોવાની ઓળખ આપી ધાકધમકી આપી રૂપિયા પડાવતા એક યુવકને કતારગામ, લલિતા ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો હતો. આ શખ્સે સુરત, વલસાડ, બારડોલી, અમદાવાદમાં અનેક જ્યોતિષોનો તોડ કર્યો હોવાની માહિતી બહાર આવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના રાંદેર રોડ, તાડવાડી પાસે આવેલ શાલીગ્રામ સોસાયટીની બાજુની સિંધી સોસાયટીમાં રહેતા મનીષભાઇ નંદલાલ મનાની વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરે છે. જેમને ગત 18મી મેના રોજ મોબાઇલ ફોન પર એક યુવકે પોતાની ઓળખ કતારગામ પોલીસ ચોકીથી રિવરાજ બોલું છું, તમારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કતારગામ પોલીસ ચોકી પર આવો તેમ જણાવી ધાક-ધમકી આપી બળજબરી રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી, જ્યારે પોલીસની ઓળખ આપનાર યુવકે વાસ્તુ શાસ્ત્રી મનીષભાઇ મને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કતારગામ, લલિતા ચોકડી પાસેથી વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષ વિદ્યાના જાણકાર મહારાજોને ફોન ધમકાવનાર વિજય ઉર્ફે વિક્રમ ધારસી વાઘેલા (ઉ.વ. 24, ૨હે. ચામુંડાનગર સોસાયટી, આંબાતલાવડી રોડ, કતારગામ, મૂળ ૨હે. બુધેલગામ, તા. ઘોઘા, જિ. ભાવનગરને ઝડપી પાડયો હતો. વિજય ઉર્ફે વિક્રમ વાઘેલા અગાઉ ટેકનિશિયન તરીકે કતારગામ વિસ્તારમાં કામ કરતો હોવાથી તે અવાર-નવાર કતારગામ પોલીસ મથકમાં આવતો જતો હતો. તે દરમિયાન પોલીસ કર્મચારીઓની કાર્યપદ્ધતિ જાણી પોલીસ સ્ટેશનમાં કયા પોલીસ અધિકારી અને કયા કર્મચારીનો વર્ચસ્વ અને સારી ઓળખ છે તેનું નામ મેળવીને જ્યોતિષના જાણકાર વ્યક્તિઓને પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીના નામથી ફોન કરીને ધાક-ધમકી આપી રૂપિયા પડાવતો હતો. આ અંગે વધુ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે.
વિજયે સાગરિત હિંમત સાથે મળી અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા
વિજય ઉર્ફે વિક્રમ વાઘેલાએ તેના સાગરીત હિંમત સિદ્ધાર્થ પરમાર સાથે છેલ્લાં છ મહિનામાં સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ અને બારડોલી સહીતના વિસ્તારોમાં જ્યોતિષવિદ્યાના જાણકાર મહારાજો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.