Surat: જીમ પર કોરોનાનું ગ્રહણ, અત્યાર સુધીમાં 15%થી વધુ જીમને તાળા
કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે.,ત્યારે હાલ ઘટતાં કોરોના સંક્રમણ વચ્ચે જીમ સંચાલકોને મંજુરી ન મળતા જીમ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Surat : કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં પ્રકોપ વરસાવ્યો છે, ત્યારે કોરોનાનાં સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો હતો, જેને કારણે અનેક ધંધા રોજગાર પડી ભાંગ્યા છે,ત્યારે હાલ ઘટતાં કોરોના સંક્રમણ વચ્ચે જીમ સંચાલકોને મંજુરી ન મળતા જીમ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જિમ અને ફિટનેસ સેન્ટર ચલાવતા સંચાલકોનું કહેવું છે કે, રાજ્યમાં અનલોકની પ્રક્રિયામાં ઇન્ડસ્ટ્રીઝને છૂટછાટ આપવામાં આવી છે તો જિમ ઇન્ડસ્ટ્રીઝને કેમ નહિ તેવા સવાલો જીમ સંચાલકો ઉઠાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, કોરોનાને કારણે અનેક જીમ સંચાલકોની હાલત કફોડી બની છે અને અત્યારસુધીમાં 15% થી વધારે જીમોને તાળા લાગી ગયા છે.
જીમ સંચાલકોની હાલત કફોડી
છેલ્લાં દોઢ વર્ષથી જીમ બંધ રહેતા જીમ સંચાલકોની હાલત કફોડી બની છે. કોરોનાને કારણે હાલ અસંખ્ય જિમ અને ફિટનેસ સેન્ટરો બંધ કરવાની નોબત આવી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ કે વીજ બીલમાં ફિક્સ ચાર્જમાં જે રાહત આપવામાં આવી છે તે પૂરતી ન હોવાનું જીમ સંચાલકોનું કહેવું છે.
લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય તો જીમને શરૂ કરવાની પરવાનગી કેમ નથી આપવામાં આવતી તે પ્રશ્ન હાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. સુરતમાં જિમ ચલાવતા બ્રિજેશ દોશીનું કહેવું છે કે,”આજે ટેકસટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટમાં સૌથી વધારે ભીડ દેખાઈ રહી છે તેટલી ભીડ તો જીમમાં થવાની નથી, અહીં જે લોકો આવે છે તે હેલ્થ કોન્સિયસ હોય છે એટલે ગાઈડલાઈનનું પાલન અહીં થવાનું જ છે. જેથી સરકારે તાકીદે જિમ અને ફિટનેસ સેન્ટર શરૂ કરવા પર વિચાર કરવો જોઈએ.”
જિમ સંચાલક વાસુભાઈનું કહેવું છે કે,” છેલ્લા 15 મહિનાથી જીમમાં કોઈ આવક જ નથી પણ તેની સામે ખર્ચા પુષ્કળ છે,જો કોરોનાની અસર લાંબી અસર રહેશે તો હજી બીજા જિમ પણ સમયાંતરે બંધ થઈ જશે.”