Surat : ઓમિક્રોન સંક્રમિત વરાછાના વેપારીનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રને હાશ
હવે આ વાયરસથી સંક્રમિત થયેલા વેપારીના આરટીપીસીઆરના બન્ને રિપોર્ટ નેગેટીવ આવતાં હવે વેપારી થકી અન્ય નાગરિકોમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણની શક્યતાઓ હાલના તબક્કે નહિવત છે.
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat )કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયેન્ટનો(Omicron ) પહેલો કેસ સુરત શહેરમાં નોંધાયા બાદ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વરાછા ખાતે રહેતા અને ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીનો ત્રણ દિવસ પહેલા જીનોમ સિકવન્સમાં ઓમીક્રોન વેરિયેન્ટના સંક્રમણનો રિપોર્ટ આવ્યો હતો.
જેને પગલે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક વેપારીના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરોન્ટાઈન કરવાની સાથે – સાથે કોરોના સંક્રમિત વેપારીના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા તમામના કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી સાંજે ઓમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત વેપારીનો આરટીપીસીઆરનો એક રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આજે સવારે વધુ એક વખત આ વેપારીનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
સોમવારે સાંજે સુરતમાં ઓમિક્રોન વેરિયેન્ટનો પહેલો કેસ નોંધાતા વહીવટી તંત્ર સાબદું થઈ ગયું હતું. સાઉથ આફ્રિકા અને દુબઈની મુલાકાત કરીને પરત ફરેલા વરાછા ખાતે રહેતા એક ડાયમંડના વેપારીમાં ઓમિક્રોનના લક્ષણો દેખાયા બાદ આ વારયસની ઘાતકતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા વેપારીના તમામ પરિવારજનો સહિત બાળક સાથે અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ મળીને 70 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ તમામના રિપોર્ટ જે તે સમયે નેગેટીવ આવ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ ગઈકાલે વધુ એક વખત ઓમિક્રોનથી સંક્રમિત ડાયમંડ વેપારીના બે આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એક ગઈકાલે અને બીજો રિપોર્ટ આજે સવારે નેગેટીવ આવતાં તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. જો કે, હાલ તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ વેપારીને સાત દિવસ સુધી ઘરે જ ક્વોરોન્ટાઈન રહેવા માટે જણાવાયું છે.
સંક્રમણ ફેલાવવાની શક્યતા નહિવત્ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે સુરતમાં પણ નોંધાયેલા પહેલા કેસ બાદ ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, હવે આ વાયરસથી સંક્રમિત થયેલા વેપારીના આરટીપીસીઆરના બન્ને રિપોર્ટ નેગેટીવ આવતાં હવે વેપારી થકી અન્ય નાગરિકોમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણની શક્યતાઓ હાલના તબક્કે નહિવત છે.
છતાં લોકીને સાવધ રહેવા અપીલ : કોરોનાના કેસોમાં થઇ રહેલા આંશિક વધારાને કારણે મહાનગરપાલિકા દ્વારા કોરોનાની જૂની ગાઈડલાઇનનું પાલન કરવા જ અનુરોધ પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Surat : વાયરસનો ડર : આવનારા છ મહિના સુધી લગ્નના શુભ મુહૂર્ત માટે મોટા ભાગના પાર્ટી પ્લોટ એડવાન્સ બુક
આ પણ વાંચો : Surat : શ્વાનને ગળેફાસો આપી મારી નાખનાર સામે પોલીસે દાખલ કર્યા બે ગુના