Surat : કોરોનાની ગાઈડલાઈનના ભંગ અંગે દંડ ફટકારીને સુરત મનપાની ટીમે, લોકોને યાદ કરાવ્યુ કોરોના હજુ ગયો નથી સાવધાની રાખો
Surat : ગુજરાતમાં કોરોના (corona) સંક્રમણ ઘટતાં હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે. દુકાનો, માર્કેટ, લારી ગલ્લા, શોપિંગ સેન્ટરો, બજારો ધમધમવા લાગ્યા છે.
Surat : ગુજરાતમાં કોરોના(corona) સંક્રમણ ઘટતાં હવે બધું પૂર્વવત થઈ રહ્યું છે. દુકાનો, માર્કેટ, લારી ગલ્લા, શોપિંગ સેન્ટરો, બજારો ધમધમવા લાગ્યા છે. તમામ મહાનગરોમાં હવે જનજીવન ફરી પાટે ચડતું દેખાઈ રહ્યું છે. કોરોનાના કેસો ઘટતા લોકો પણ બેફિકર જોવા મળી રહ્યા છે જે ચિંતાજનક છે.
તેવામાં સુરત મનપા દ્વારા કોરોનાના કેસોને કાબુમાં કરવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કેસો ભલે કાબુમાં આવી ગયા હોય પણ કોરોના હજી ગયો નથી તેવી સમજ લોકોને કેળવવી જરૂરી છે. અને આ જ આશય સાથે મનપાની આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ સ્ક્વોડ બનાવીને ચેકીંગ હાથ ધર્યું હતું.
આજે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારની ટીમ દ્વારા ટેકસટાઇલ માર્કેટ એરિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટેકસટાઇલ માર્કેટ એવો વિસ્તાર છે જ્યાં બિઝનેસ માટે કાપડ વેપારીઓ, કારીગરોની સૌથી વધુ અવરજવર રહે છે. ત્યારે આજે આ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ સ્ક્વોડ દ્વારા માસ્ક વગર ફરતા કે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જે વ્યક્તિઓ માસ્કનો દંડ ભરી ન શકે તેવા વ્યક્તિઓને માસ્ક એનાયત કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોનના આરોગ્ય નિરીક્ષક એ.બી.સોલંકીના જણાવ્યા પ્રમાણે અનલોક પછી લોકો બેફિકર થયેલા દેખાય છે. કોરોનાના કેસો ઘટતા લોકો કોરોનાના ડરથી ચિંતામુકત થઈ ગયા છે. ત્યારે ત્રીજી લહેરની આશંકા વચ્ચે લોકોએ કોરોનાથી સલામત રહેવા જાગૃત રહેવાની જરૂર છે. અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સખત જરૂર છે.
આપણે જાણીએ છીએ તેમ કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં કોરોના વધુ આક્રમક બન્યો હતો. ત્યારે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે જો લોકો આવી ભૂલો કરશે, ભીડ ભેગી થશે, સોશિયલ ડિસ્ટનસિંગ ભુલાશે, માસ્કનો નિયમ નહિ પળાશે તો ત્રીજી લહેરને લાવવા માટે જવાબદાર બીજું કોઈ નહિ પણ આપણે જ હોઈશું.