Pal Umra Bridge: સુરતમાં નવા ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ક્યાંક સુરતીઓએ મારી પિચકારી તો ક્યાંક રહી ગઈ પાલિકાની ભૂલ!
બ્રિજના વોક વેના રસ્તા પર કેટલીક જગ્યાએ ટાઈલ્સ પણ ઉખડેલી જોવા મળી હતી. જેમાં પણ લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ઉતાવળે કામ કરવામાં બ્રિજના કામમાં ખોટ રાખી હોવાનું પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા.
Pal Umra Bridge Surat: ગઈકાલ રવિવારે જ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અંદાજે 90 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાલ ઉમરા વિસ્તારને જોડતા બ્રિજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના (CM Vijay Rupani) હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બંને વિસ્તારના લોકોને આ બ્રિજથી મોટી રાહત મળી છે. અંદાજે 10 લાખ જેટલા લોકોના ઈંધણ અને સમય બંનેની બચત આ બ્રિજથી થશે.
તાપી નદી પર આ ખુલ્લો મુકાયેલો 14મો બ્રિજ છે. જેનાથી કેબલ બ્રિજ અને સરદાર બ્રિજના મોટાભાગના ટ્રાફિકનું ભારણ ઓછું થશે. તેવામાં ગઈકાલે ખુલ્લો મુકાયેલા આ બ્રિજ પર લોકો મોટી સંખ્યામાં ફરવા પણ નીકળ્યા હતા.
કેટલાક લોકો પરિવાર સાથે રવિવારની રજા મજા માણવા આ બ્રિજનો આંટો પણ મારી લીધો હતો. જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ પણ દેખાયો હતો. જોકે તે બાદ આજે સવારે બ્રિજ પર ક્યાંક પાનની પિચકારી મારેલી જોવા મળી હતી. જે શહેર સ્વચ્છતા માટે જાણીતું છે તે શહેરના નવા ખુલ્લા મુકાયેલા આ બ્રિજ પર સુરતીઓએ પાનની પિચકારી મારી બગાડ્યો હતો.
ત્યારે બીજી તરફ બ્રિજના વોક વેના રસ્તા પર કેટલીક જગ્યાએ ટાઈલ્સ પણ ઉખડેલી જોવા મળી હતી. જેમાં પણ લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ઉતાવળે કામ કરવામાં બ્રિજના કામમાં ખોટ રાખી હોવાનું પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા.
જોકે આ મામલે અધિકારીઓનો સંપર્ક કરાતા તેમની સાથે વાત થઈ શકી નહોતી. પરંતુ આ બ્રિજના આવા ફોટાની ફરિયાદ કોર્પોરેશન તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે. જેનો ત્વરિત ઉકેલ આવે તેવી માંગ લોકોએ કરી છે.
આ પણ વાંચો: Rajkot : ત્રીજી લહેરને આમંત્રણ ? વિછીંયામાં સતરંગાપીરમાં લાખોની ભીડ એકઠી થઇ
આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 22થી 29 જુલાઈ સુધી લેવામાં આવશે વધુ 30 પરીક્ષા