ઘરફોડ ચોરી: સુરતના સલાબતપુરામાં ધોળા દિવસે સોના-ચાંદીના દાગીના સહિત 14લાખથી વધુની ચોરી
Crime News: સુરતના સલાબતપુરા વિસ્તારમાં 11 નવેમ્બરે ભરબપોરે બે ફ્લેટના તાળા તૂટ્યા હતા. અને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત કુલ 14 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં ગત તારીખ 11ના રોજ ભર બપોરે બે ફ્લેટમાં રોકડા અને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 14 લાખથી વધુનો મુદ્દા માલ ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે સલાબત પુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર આરોપીઓને ઝડપી પાડી ચોરી કરેલો લગભગ તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આ સમગ્ર ચોરીની ઘટનામાં જે ફ્લેટમાં ચોરી થઈ તે બિલ્ડીંગના લિફ્ટ મેન અને વોચમેનની ભૂમિકા મહત્વની હતી.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઈન્દ્રપુરામાં એક એપાર્ટમેન્ટના બે ફ્લેટમાં ભર બપોરે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જેમાં આ ફ્લેટમાં રહેતા વોહરા પરિવાર તેમના ધર્મગુરુ સુરતમાં આવ્યા હોવાથી નમાજ અદા કરવા માટે અને ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે જ સમયે બપોરે 2:00 વાગ્યાના અરસામાં તસ્કરોએ આ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરની તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જે બાબતે ઘર માલિક દ્વારા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશન પીઆઇ દેસાઈ દ્વારા આ બાબતે તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવીને ચોરીનો ભેદ ઉકેલવા માટે સૂચન કરતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે તસ્કરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તેમને માત્ર એક કડી મળી હતી. જેના આધારે સમગ્ર કેસને ઉકેલી કાઢવામાં સફળતા મળી છે. સલાબતપુરા પોલીસના માણસોને જે ઘટના એપાર્ટમેન્ટમાં બની હતી તેના આજુબાજુના સીસીટીવી તપાસ કરતા એક મોબાઈલ ઉપર ત્રણ જેટલા ઈસમો જતા નજરે પડ્યા હતા જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પીએસઆઇ અને પોલીસકર્મીઓએ આ બાબતે તપાસ શરૂ કરી હતી અને ત્યારે ડીસ્ટાફના એક માણસને ખાનગી રાહે માહિતી મળી હતી. તેના આધારે ચાર આરોપી પૈકી એક આરોપી હકીમ રંગવાલા અંગે માહિતી મળતા તેની પૂછપરછ શરૂ કરાઈ હતી.
જેમાં આરોપીએ તેની સાથે આ ઘરફોડ ચોરીમાં સામેલ અન્ય ત્રણ વ્યક્તિઓના નામ પણ જણાવ્યા હતા. જે પૈકી હુસેન શાહ, અલી અસગર તેમજ સાજીદ શેખની પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે આ સમગ્ર ચોરી માટે ટીપ આપનાર મુખ્ય વ્યક્તિ તે જ બિલ્ડીંગનો વોચમેન હતો. તેને આ તમામ બાબતોની જાણકારી હતી કે, આ પરિવારના ધર્મગુરુ આવ્યા હોવાથી તેઓ કેટલા સમય માટે ઘરની બહાર રહે છે. આ બાબતે ચર્ચા કર્યા બાદ ચારેય જણાએ મળીને ચોરીના બે દિવસ અગાઉ વિસ્તારની રેકી કરી હતી અને ચોક્કસ સમય જોઈને ઘરમાં ચોરીનો પ્લાન બનાવી તેને અંજામ આપ્યો હતો.
પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 14,00,550 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ, તેમજ આ ચારેય આરોપીઓ અગાઉ આ પ્રકારે કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં હાલ સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.