Surat: શરૂ કરાઈ હરતી ફરતી શાળા, અંતરિયાળ ગામડામાં રહેતા બાળકોને આપશે અક્ષરજ્ઞાન
એક હરતી ફરતી શાળા કે જે કામરેજ તાલુકાના ગામડામાં રહેતા વંચિત જૂથના બાળકોના ઘરે જઈને અક્ષરજ્ઞાન આપશે. આ બસમાં જ બાળકો બેસીને ભણી શકશે. બસમાં કલાસ રૂમના જેવી જ સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Surat: અત્યાર સુધી તમે હરતું ફરતું દવાખાનું(hospital ) અને ફરતી લાયબ્રેરી(library) જોઈ હતી, પરંતુ સુરતમાં તો હરતી ફરતી શાળા(school) ચાલી રહી છે. આ હરતી ફરતી શાળા એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી છે, જેઓ શાળા સુધી પહોંચી શકતા નથી. જીહાં સુરત ગ્રામ્ય વિસ્તારોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો કે જેઓ અભ્યાસથી વંચિત છે તેમને અક્ષરજ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુ સાથે શરૂ કરવામાં આવી છે આ પેનડેમીક પાઠશાળા એટલે કે વિદ્યારથ.
એક હરતી ફરતી શાળા કે જે કામરેજ તાલુકાના ગામડામાં રહેતા વંચિત જૂથના બાળકોના ઘરે જઈને અક્ષરજ્ઞાન આપશે. આ બસમાં જ બાળકો બેસીને ભણી શકશે. બસમાં કલાસ રૂમના જેવી જ સગવડ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસની અંદર એક ક્લાસરૂમમાં હોય તેવી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને શાળાની કમીનો અહેસાસ ન થાય.
શું છે આ વિદ્યારથની ખાસિયતો?
બસની અંદર સ્માર્ટ ટીવી અને રોલપ બોર્ડ પણ રાખવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી, સેનેટાઈઝર, થર્મલ ગન અને માસ્કની વ્યસ્થા સાથે બાળકોને દફતર પણ આપવામાં આવ્યું છે. જેમાં સ્લેટ પેન, Drawing બુક, પેન્સિલ શાર્પનર, ઈરેઝર, કંપાસ બોક્સ અને વર્ક શીટ આપવામાં આવી છે.
આ બસને શરૂ કરવા પાછળ સુરતના શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.દીપક રાજ્યગુરુનો મુખ્ય વિચાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રયોગ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે. ગરીબ અને અભ્યાસથી વંચિત ધો.1 અને 2ના બાળકો કે જે હાલની કોરોનાની પરિસ્થિતિમાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શક્યા નથી, તેવા બાળકોને તેમના જ ગામમાં આ વિદ્યારથ પહોંચીને 2 કલાક સુધી શિક્ષણ અને સંસ્કૃતિ સાથે જોડી આનંદદાયી પ્રવૃતિઓમાં જોડશે.
હાલ જ્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે વાલીઓ હજુ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા તૈયાર નથી. કોરોનાના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી છે. ખાસ કરીને ગામડાઓમાં તેમજ છેવાડાના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓના ભણતર કોરોનાના કારણે બગડ્યું છે. ત્યારે સુરતમાં શરૂ થયેલા આ નવતર પ્રયોગ આવનારા દિવસોમાં અન્ય લોકોને અને સરકારને પ્રેરણા રૂપ સાબિત થશે.