Mahuva : હનુમાન મંદિરમાં બે દિવસમાં અજગરના 8 બચ્ચા મળી આવતા દર્શનાર્થીઓને સાવચેત રહેવા અપીલ
બે દિવસમાં 8 જેટલા અજગરના (Snakes ) બચ્ચા મળી આવતા મંદિર પ્રશાસન દ્વારા આ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને સાવચેતી રાખવા ચોક્કસથી અપીલ કરવામાં આવી છે.
સુરતના મહુવા (Mahuva ) ખાતે આવેલા હનુમાન મંદિરમાં (Temple ) આવતા દર્શનાર્થીઓને હાલ સાવચેત રહેવા માટે અપીલ (Appeal ) કરવામાં આવી છે. કારણ કે આ મંદિર માંથી છેલ્લા બે દિવસમાં અજગરના 8 બચ્ચાઓ મળી આવતા ગ્રામજનોમાં અને ભક્તોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે મહુવાના કોષ ગામે હનુમાન મંદિર આવેલું છે. આ મંદિરમાંથી બે દિવસમાં 8 બચ્ચાંઓ મળી આવ્યા છે.
બે દિવસમાં મળી આવ્યા 8 અજગરના બચ્ચા
મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર અહીં રવિવારે અજગરના 3 બચ્ચા મળી આવ્યા હતા. તેમજ સોમવારે વધુ 5 એમ બે દિવસમાં કુલ 8 અજગરના બચ્ચાઓ મળી આવ્યા છે. મંદિરમાંથી અજગરનાં બચ્ચાંઓ મળી આવતા દર્શનાર્થીઓમાં ભારે અચંબા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અજગરના બચ્ચાંઓ મળી આવતા અજગર પણ મંદિરની આસપાસમાં હોવાનું અનુમાન ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. એક અઠવાડિયા પહેલા પડેલા વરસાદમાં 3 દિવસ સુધી મંદિર પરિસરમાં પાણી ભરાયેલા રહ્યા હતા. એવી આશંકા છે કે વરસાદી પાણીના ભરાવા દરમિયાન બચ્ચાઓ મંદિરમાં આવી ચડ્યા હોય શકે છે.
ભારે વરસાદને કારણે મંદિર પરિસરમાં અજગરના બચ્ચા આવ્યા હોવાનું અનુમાન
મંદિરના ટ્રસ્ટીઓએ દર્શનાર્થીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે આખા બારડોલી પંથકમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે વરસાદી સીઝનમાં અજગર, સાપ જેવા વન્ય જીવો બહાર નીકળતા હોય છે. એટલે બની શકે કે આ કારણથી અજગર અને બચ્ચાઓ મંદિર પરિસરમાં ઘુસી આવ્યા હોય શકે છે.
જોકે હજી સુધી સર્પદંશનો એકપણ બનાવ નહીં
જોકે સદનસીબે અત્યારસુધી એક પણ વ્યક્તિને સર્પદંશના બનાવ આ મંદિરમાં બન્યા નથી. પણ બે દિવસમાં 8 જેટલા અજગરના બચ્ચા મળી આવતા મંદિર પ્રશાસન દ્વારા આ મંદિરમાં દર્શન માટે આવતા લોકોને સાવચેતી રાખવા ચોક્કસથી અપીલ કરવામાં આવી છે.
Input Credit Jignesh Mehta (Bardoli )