Surat : રખડતા ઢોરની સમસ્યાનું નિવારણ લાવવા વધુ એક પ્રયાસ, હવે ઢોરોમા RFID ચીપ વિનામૂલ્યે લગાવવાનો નિર્ણય
શહેરમાં 23,052 ગાય અને 31,505 ભેંસ મળીને કુલ 54,557 ઢોર છે. આ તમામ ઢોરમાં આર.એફ.આઇ.ડી.ચીપ લાગે તે માટે પાલિકાએ 31 માર્ચ 2023 સુધી ચીપનો કોઇ ચાર્જ નહી લેવાનો નિર્ણય કર્યા છે.
ગુજરાત (Gujarat ) હાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરના મુદ્દે અપનાવવામાં આવેલ કડક વલણને કારણે રાજ્ય સરકાર પણ સક્રિય બની છે. સુરતમાં પણ રખડતા ઢોરની(Stray Cattles ) સમસ્યાના નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. મનપા દ્વારા આરએફઆઈડી ચીપ રખડતા ઢોર પર લગાડવાની યોજના અમલી બનાવી હતી. પરંતુ આ ચાર્જેબલ સ્કીમને હજી ધાર્યું એવું પરિણામ સાંપડી રહ્યું નથી. તેથી મનપા તંત્રએ રખડતા ઢોર બાબતે વધુ એક પગલું ભર્યું છે અને આગામી તારીખ 31 માર્ચ 2023 સુધી રખડતા ઢોરોમાં આરએફઆઈડી ની ચીપ વિનામૂલ્યે લગાવવાનો નિર્ણય સ્થાયી સમિતિએ કર્યો છે.
આજથી જ શરૂ થશે ફ્રી ચિપ લગાવવાની કામગીરી :
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે સુરતના રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઈ નથી. ઘણા વિસ્તારોમાં હજુ આ સમસ્યાઓ મોટા પ્રમાણમાં હોવાની ફરિયાદો મળી રહી છે. મનપા દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે આર.એફ. આઇ.ડી.ચીપ લગાવવાનું શરૂ કર્યુ હતું પરંતુ પશુપાલકો તરફથી કોઇ ખાસ સહયોગ મળ્યો નથી. જેના કારણે રખડતા ઢોર પકડાય તો તેમાં ચીપ લગાવવાની કામગીરી કરી રહી છે. પરંતુ હજી સુધી માંડ ત્રણ હજાર જેટલા પશુઓમા જ આ ચીપ લગાવવામાં પાલિકાને સફળતા મળી છે.
સુરતમાં આટલી નોંધાઈ છે ઢોરોની સંખ્યા :
શહેરમાં 23,052 ગાય અને 31,505 ભેંસ મળીને કુલ 54,557 ઢોર છે. આ તમામ ઢોરમાં આર.એફ.આઇ.ડી.ચીપ લાગે તે માટે પાલિકાએ 31 માર્ચ 2023 સુધી ચીપનો કોઇ ચાર્જ નહી લેવાનો નિર્ણય કર્યા છે. અત્યાર સુધીમાં પાલિકા ચીપ લગાવતી હતી તેના માટે 300 રૂપિયા નો ચાર્જ વસૂલતી હતી તે હવે તારીખ 31 માર્ચ સુધી ચીપ લગાવવા માટે કોઇ પણ જાતનો ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ કામગીરી પાલિકા તંત્ર આજથી જ શરુ કરી દેશે. જો 31 માર્ચ 2023 પછી પશુપાલકો પશુઓમાં ચીપ લગાવશે નહીં તો ત્યાર બાદ પાલિકા દંડનીય કામગીરી કરશે.