Surat : ચોમાસામાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશના કિસ્સાઓ વધ્યા, 1 જ મહિનામાં સર્પદંશના 40 કેસ, 3ના મોત
વરસાદ શરૂ થતા જ ખેતમજૂરો માટે આફત આવી છે. કારણ કે સાપ કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે. ચોમાસા દરમ્યાન ખેતમજૂરોએ અને ખુલ્લામાં રહેતા લોકોએ સાપ કરડવાથી બચવા ખાસ સાવધ રહેવાની જરૂર છે.
વરસાદના (monsoon ) કારણે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સર્પદંશના (snake byte) બનાવો વધી રહ્યા છે. પાછળ 15 દિવસથી રોજ એક કેસ સર્પદંશનો સામે આવી રહ્યો છે. આમ છેલ્લા એક મહિનામાં 40 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાંથી 3 વ્યક્તિઓના તો મોત પણ થઇ ચુક્યા છે.
શનિવારે પણ સુરતના ઓલપાડ(olpad ) વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ખેડૂતને સાપે ડંખ માર્યો હતો. સમયસર સારવારના કારણે તેનો જીવ બચી ગયો હતો. સર્પદંશના બે ત્રણ કેસ સુરત શહેરમાંથી જયારે સૌથી વધારે કેસો સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યા છે. ખેતરમાં કામ કરનારા અથવા રાત્રે જમીન પર ઊંઘતા લોકોને સાપ કરડી રહ્યા છે. કેટલીકવાર દર્દીઓ દર્દીને સાપને મારીને સાપ સાથે જ હોસ્પિટલ લઇ આવે છે.
પહેલો કેસ : કામરેજના ઉભેદ ગામમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ મહિલા ખેતરમાં કામ કરી રહી હતી તે દરમ્યાન સાપે તેને ડંખ માર્યો હતો. ગંભીર હાલતમાં પરિવારજનો આ મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરિવારજનો સાપને મારીને સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જેથી સારવારમાં આસાની થઇ હતી. અને મહિલા સ્વસ્થ થઈને ઘરે ગઈ હતી.
બીજો કેસ : તાજેતરમાં જ ઉધના વિસ્તારમાં રહેતા એક યુવકને પણ સાપે ડંખ માર્યો હતો. તે રાત્રે જમીન પર સુઈ રહ્યો હતો ત્યારે સાપે તેના કાન પર ડંખ માર્યો હતો. સારવારની જગ્યાએ તેના પરિવારજનો તેને ભગત ભુવા પાસે લઇ ગયા હતા. હાલ ગંભીર થયા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું.
ત્રીજો કેસ : થોડા દિવસ પહેલા જ કડોદરા ખાતે રહેતી એક મહિલાને સાપે ડંખ માર્યો હતો. સિવિલ હોસ્પ્ટિલ લાવતા લાવતા પહેલા જ તેમની હાલત ગંભીર થઇ ગઈ હતી. અને પ્રાથમિક સારવાર આપવા દરમ્યાન જ તેનું મોત નીપજ્યું હતું. મહિલા મૂળ સૌરાષ્ટ્રની રહેવાસી હતી.
આમ, વરસાદની સીઝન શરૂ થતા જ સર્પદંશના બનાવો વધી ગયા છે. ત્યારે ખાસ કરીને ગ્રામ વિસ્તારમાં ખેતમજૂરી કરીને રહેતા અને ખુલ્લામાં રહેતા લોકોને સાવધ રહેવા સિવિલ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો :