Surat : વેસુની સુમન મલ્હાર આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે પાલિકાની ઢીલી નીતિથી લાભાર્થીઓ મકાનથી હજી પણ વંચિત
દિવાળી પહેલા મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ પર જઈને લાભાર્થીઓની વ્યથા પણ સાંભળી હતી. અને અધિકારીઓને બોલાવીને તાકીદે કોન્ટ્રાકટર પાસે અધૂરા કામો પુરા કરાવી લેવા માટે આદેશ પણ આપવામાં આવ્યો હતો. જોકે હવે મોટા ભાગનું કામ તો પૂરું થઇ ચૂક્યું છે.
સુરત મહાનગરપાલિકાની(Surat Municipal Corporation ) આવાસ યોજનાના (aawas yojna )આમ તો આખા રાજ્યમાં શ્રેષ્ઠ આવાસ ફાળવવાની બાબતમાં વખાણ થાય છે. પરંતુ આ આવાસ યોજના સોનાની થાળીમાં લોઢાના મેખ જેવી સાબિત થઇ રહી છે. કારણ કે વેસુના સુમન મલ્હાર(Suman malhar ) પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી તમામ નાણાં ભરાઈ ગયા હોવા છતાં તેઓને હજી સુધી આવાસોનો કબ્જો મળી શક્યો નથી.
આવાસનો કબ્જો ન મળતા 360 જેટલા લાભાર્થીઓની હાલત પણ કફોડી થઈ ગઈ છે. એક બાજુ આ લાભાર્થીઓએ લોન કરીને મકાનના તમામ નાણાં મહાનગરપાલિકાને ભરી દીધા છે. તો બીજી બાજુ આવાસોનો કબ્જો નહીં મળતા તેઓને ભાડેથી રહેવું પડી રહ્યું છે. આ મુદ્દે અવારનવાર ઓહાપોહ અને ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી છે.
દિવાળી પહેલા મેયર હેમાલી બોઘાવાલાએ સ્થળ પર જઈને લાભાર્થીઓની વ્યથા પણ સાંભળી હતી. અને અધિકારીઓને બોલાવીને તાકીદે કોન્ટ્રાકટર પાસે અધૂરા કામો પુરા કરાવી લેવા માટે આદેશ પણ આપવામાં આવ્યો હતો. જોકે હવે મોટા ભાગનું કામ તો પૂરું થઇ ચૂક્યું છે. પરંતુ કોન્ટ્રાકટરે આ પ્રોજેક્ટ માટે જરૂરી એન્વાયરો સર્ટિફિકેટ જ નહીં મેળવ્યું હોવાનું બહાર આવતા લાભાર્થીઓની મુશ્કેલીનો અંત હજી આવે તેવું લાગતું નથી.
આ પ્રોજેક્ટના ઈજારેદાર કતીરા કન્સ્ટ્રક્શન દ્વારા પહેલાથી જ આ પ્રોજેક્ટમાં વિલંબ કરીને પાલિકાની છાપને બગાડી છે. જોકે ઈજારેદાર સામે ઢીલી નીતિ અપનાવી રહેલા મહાનગરપાલિકાના અધિકારીઓને કારણે 360 લાભાર્થીઓ અટવાઈ રહ્યા છે. એન્વાયરો સર્ટિફિકેટ મેળવવાની જવાબદારી ઈજારેદારની હોવા છતાં અહીં કુલ પાંચ ટાવર બની ગયા ત્યાં સુધી એનવાયરો સર્ટિફિકેટ મેળવવા બાબતે કોન્ટ્રાક્ટરને ફરજ ના પાડવામાં આવી એ મોટી વાત છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું છે કે સુમન મલ્હાર માં એન્વાયરો સર્ટિફિકેટ બાબતે થોડો ઇસ્યુ થયેલો છે. પરંતુ તેમાં રસ્તો શોધીને લાભાર્થીઓને કબ્જો આપી દેવા તૈયારી કરવામાં આવી છે. સર્ટિફિકેટ બાબતે જીપીસીબીના અધિકારીઓ સાથે પણ સંકલન કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
આવાસોની ફાળવણી બાકી છે, તે ઇમારતોમાં એક એક લિફ્ટ ચાલુ થઇ જાય અને અન્ય આનુસંગિક વ્યવસ્થા પણ ઝડપથી કરી દઈ ફાળવણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. કમિશનરે બે ચાર દિવસમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળી જશે એવી બાંહેધરી આપી છે.
આ પણ વાંચી : Surat : શહેરમાં વધતી પ્રદુષણની માત્રા અટકાવવા યુવાનોએ શરૂ કર્યું “આગ બુઝાઓ” અભિયાન
આ પણ વાંચો : Surat : સુરતની ફેમસ સાડીઓ પહેરવી બનશે મોંઘી, 12 ટકા જીએસટીના કારણે મહિલાઓના શોપીંગ પર પડશે અસર