Surat: દર વર્ષે ફરવા જતા લોકોમાં 30 ટકા સુરતીઓ અવ્વલ, ચેમ્બરમાં યોજાયો સેમિનાર
ચેમ્બર દ્વારા શરૂ કરવામાં આવનારા ટુરીઝમ માટેના ટ્રેનીંગ કોર્સની પણ માહિતી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે ટ્રાવેલની ડિઝાઇન તૈયાર કરવાનું, કાઉન્સેલીંગ કરવાનું અને જાતે જ આખી બુકીંગ પ્રોસિજર પૂર્ણ કરી શકે તે માટેનું જ્ઞાન બેઝીક કોર્સમાં આપવામાં આવશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(SGCCI) દ્વારા નાનપુરા, સુરત ખાતે ‘ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં(Travel And Tourism Industry ) સફળ કારકિર્દી(Career ) બનાવો’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરની ટુર એન્ડ ટ્રાવેલ્સ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી જેટલા લોકો દર વર્ષે જુદા–જુદા સ્થળે ફરવા માટે જતા હોય છે તેમાંથી ૩૦ ટકા લોકો સુરતના હોય છે. એમાં પણ વિદેશમાં ફરવા જતા ગુજરાતીઓમાં સૌથી વધારે સંખ્યા સુરતીઓની હોય છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કાઉન્સીલ (WTTC)ના આંકડાઓ મુજબ, ભારતભરના કુલ રોજગારી સર્જનમાં ટુરીઝમ ઇન્ડસ્ટ્રી ૮.૧૦ ટકા તેમજ દેશના જીડીપીમાં ૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આથી ટુરીઝમ ક્ષેત્રે હોટેલ, એરલાઇન્સ, ટ્રાવેલ એજન્ટ્સ, ટુર ઓપરેટર્સ તરીકે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તકો રહેલી છે.
વકતા અભિષેક મોદીએ જણાવ્યું હતું કે, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. દેશમાં તેમજ વિદેશમાં ફરવા જવા માગતા પ્રવાસીઓને સાચી અને સચોટ માહિતી પૂરી પાડવાની હોય છે. જુદા–જુદા પ્રદેશોના ભૌગોલિક જ્ઞાન તથા ત્યાંના વાતાવરણનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માટે ઉજ્જવળ તકો રહેલી છે.
વિદ્યાર્થીઓ તેમજ સાહસિકો ટ્રાવેલ કન્સલ્ટન્ટ તરીકે કારકિર્દી બનાવી શકે છે. એના માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ તેઓને ફરવા માટે કયાં મોકલી શકાય છે તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. પ્રવાસીઓ ઓછા સમયમાં પૈસાનું મહત્તમ વળતર મેળવી શકે અને ફરવાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવાની હોય છે.
વધુમાં તેમણે ચેમ્બર દ્વારા શરૂ કરવામાં આવનારા ટુરીઝમ માટેના ટ્રેનીંગ કોર્સની પણ માહિતી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે ટ્રાવેલની ડિઝાઇન તૈયાર કરવાનું, કાઉન્સેલીંગ કરવાનું અને જાતે જ આખી બુકીંગ પ્રોસિજર પૂર્ણ કરી શકે તે માટેનું જ્ઞાન બેઝીક કોર્સમાં આપવામાં આવશે.
નોંધનીય છે કે ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી દિવસોમાં ટુરિઝમ માટે ખાસ કોર્સ શરૂ કરવામાં આવનાર છે. શહેરીજનો જ્યારે ફરવા માટે જતા હોય છે, ત્યારે તેઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ મુસાફરી દરમ્યાન તેઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે હેતુથી ટ્રાવેલ ઉદ્યોગની સાથે સંકળાયેલા તેમજ ભવિષ્યમાં આ ઉદ્યોગમાં ઉદ્યોગ સાહસિક બનવા માગતા વિદ્યાર્થીઓને કુશળ બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા ટ્રાવેલ કન્સલ્ટન્ટ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.
આમ ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રયત્નથી સુરતના યંગસ્ટર્સને આવકનો સ્ત્રોત પણ મળી રહેશે તેમજ સુરતને ક્વોલિફાઈડ ટુર કન્સલ્ટન્ટ પણ મળી રહેશે. વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકે તે હેતુથી સુરતની ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ દ્વારા ત્રણ મહિના માટે આ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat : સુરત એપેરલ પાર્કની 36 હેકટર જેટલી વિશાળ જમીન ડીનોટીફાઈ થઈ, નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના
આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં ભેટની આપ-લે, ગિફ્ટ બોક્સના વેચાણમાં વધારો થયો