બાળકોએ પાંચ-દશ રુપિયા વડે 16 કરોડ રુપિયા એકઠા કર્યા, આશ્ચર્ય પામેલા કેન્દ્રીય પ્રધાને કહ્યુ આ વિચાર ભારતના ભવિષ્યને ઉજ્વળ કરશે
બાળકોએ બાળ બેંક વડે નાનકડી મુડી વડે 16 કરોડ રુપિયાના માતબર રકમ એકઠી કરી છે, આ વિચારથી બાળકોમાં બચત અને ખર્ચ અંગેની સમજ કેળવાઈ છે.
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઈડરમાં આજે નાની મુડીથી મોટી બચત કરનારા બાળકોનુ સન્માન કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા (Parshottam Rupala) ના હસ્તે કરવામાં આવ્યુ હતુ. દેશની પ્રથમ બાળ બેંકના સભાસદ, વાલીઓનુ સંમેલન યોજવામાં આવ્યુ હતુ અને જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બાળપણથી બચતના સંસ્કારને અનુસરતા બાળકોનુ સન્માન કરી પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. તેમની સાથે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર અને સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
ઈડરમાં દેશની પ્રથમ બાળ બેંકની શરુઆત કરવામાં આવી હતી. બાળકોને ઘરે જ બચત માટે એક નાનકડી પેટી આપવામાં આવતી હતી અને તેમાં તેઓ તેમની પોકેટ મનીમાંથી રુપિયો, પાંચ રુપિયા અને દશ રુપિયા જેવી નાનકડી રકમની બચત કરવા લાગ્યા હતા. એક પ્રકારે બાળકોમાં ખર્ચ અને બચત અંગેની સમજણ કેળવાય અને આ દીશામાં સંસ્કારનુ સિંચન થાય એવા આશયથી લાલોડાના અશ્વિન પટેલે શરુઆત કરાવી હતી. તેઓએ ઈડર અને આસપાસના વિસ્તારના બાળકોને બાળ બેંકમાં જોડીને નાનકડી રકમથી બચતની શરુઆત કરી હતી. જે સમય જતા આજે 16 કરોડ રુપિયાના બચત એકઠી થઈ છે.
શૂન્ય થી લઈને 18 વર્ષના બાળકો આ બેંકમાં જોડાઈ શકે છે અને તેઓ પોતાની બચત એકઠી કરી શકે છે. આ બેંક હવે ધીરે ધીરે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિસ્તરી ચુકી છે. આ ઉપરાંત રાજ્યમાં પણ કેટલાક જિલ્લાઓમાં તે વિસ્તરી ચુકી છે. આમ અનેક જિલ્લાઓના 16 હજાર બાળકો ચિલ્ડ્રન બેંકના સભ્ય બની ચુક્યા છે. જે બાળકોએ હવે પાંચ દશ રુપિયાની બચત વડે 16 કરોડની માતબર રકમ એકઠી કરી લીધી છે.
બાળકોની આ ભાવના અને સંસ્કારને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રુપાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સભાસદ અને વાલી સંમેલનમાં ઉપસ્થિત રહીને બાળકોને સન્માનિત કર્યા હતા. તેઓએ આ બાળકોના વાલીઓને પણ શાબાશી આપી હતી કે તેઓએ બાળકોમાં આ પ્રકારના સંસ્કારનુ સિંચન કરી રહ્યા છે.
આ વિચાર ભારતનુ ભવિષ્ય ઉજ્વળ કરનાર-રુપાલા
કેન્દ્રીય પ્રધાન રુપાલાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, બાળ ગોપાલ બચત બેંક એક અનોખો અને અનેરો વિચાર છે આ બેંક દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થઈ રહ્યુ છે. તેમજ પૈસાની બચત અંગે સમજ બાળકોમાં કેળવાશે. તેમને પૈસાની કિંમત સમજાવશે તેમજ પૈસાની બચત કેવી રીતે કરવી અને તેનું આયોજન કેમ કરવું તેની સમજ તેમનામાં વધશે. જે તેમના ભવિષ્યમાં ખૂબ જ મદદરૂપ થશે. બાળકો દ્વારા કરવામાં આવતી બચત દ્વારા તેમને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થશે, તેમજ પરિવારમાં ઓચિંતી આવી પડતી આર્થિક તંગીમાં પણ મદદ મળી રહેશે.
આગળ કહ્યુ, આ દેશની પ્રથમ બાળ બેંકમાં સોળ હજાર બાળકો દ્વારા ૧૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમની બચત ઉદાહરણરૂપ છે. આ બચત તેમને ભવિષ્યમાં ઘણું બધું કરવા માટે પ્રેરણા પૂરી પાડશે સાથે આ બાળ ગોપાલ બચત બેંક નો વિચાર અન્ય શહેરો અને નગરોમાં પહોંચી ભારતના ભવિષ્યને ઉજ્વળ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સહકારનું માધ્યમ અને સંસ્કાર સિંચનના વિચાર સાથે દેશની એક માત્ર બાળ બચત મંડળી દ્વારા ૦ થી ૧૮ વર્ષના બાળકોને સભ્ય બનાવી બચત કરવા માટે બચતપેટી આપવામાં આવે છે. જે ખરેખર સરાહનીય પહેલ છે.
— Parshottam Rupala (@PRupala) June 18, 2022
આમ કેન્દ્રીય પ્રધાને બાળકો અને તેમના વાલીઓને સન્માનિત કર્યા હતા અને તેમનુ આ કાર્ય અનેક બાળકો માટે પ્રેરણાદાયી હોવાનુ કહ્યુ હતુ. પ્રધાન રુપાલાએ બેંકના સંચાલન અને સ્થાપના બદલ ટીમને પણ અભિનંદન આપ્યા હતા.