સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) તાલુકાના વક્તાપુર અને વિરપુર ગામમાં આજે સવારે રીંછ આવી પહોંચ્યુ હતુ. સૌ પ્રથમ હિમતનગરના વક્તાપુર ગામની સિમમાં વહેલી સવારે એક યુવકને રીંછ નજરે ચઢ્યુ હતુ અને તેની પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો સદનસીબે બચાવ થતા રાહત લીધી હતી. બાદમાં રીંછ વિરપુર ગામની સીમ તરફ પહોંચ્યુ હતુ. જ્યાં તેણે બે લોકો પર હુમલો કર્યો હતો. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીંછને પકડવા માટે બનાસકાંઠાના જેસોર (Jessore Bear Sanctuary) થી ખાસ ટીમ પણ આવી પહોંચી હતી. જેણે દોઢ કલાકની મહેનત કરીને રીંછને પકડી લીધુ હતુ.
બુધવારે વહેલી સવારે હિંમતનગર તાલુકામાં રીંછ જોવા મળતા આશ્વર્ય સર્જાયુ છે. આ વિસ્તારમાં રીંછ પાછળના કેટલાય વર્ષો દરમિયાન જોવા મળ્યુ નથી. સાબરકાંઠા જિલ્લામાં મોટે ભાગે રીંછ પોળો ફોરેસ્ટ વિસ્તારના ઉત્તરીય વિસ્તાર અને વિજયનગરના કેટલાક વિસ્તારમાં મોટેભાગે અવારનવાર જોવા મળતુ હોય છે. પરંતુ હિંમતનગર શહેરથી નજીકના અંતરે આવેલા વક્તાપુર અને વિરપુર ગામની સીમમાં રીંછ આવવાને લઈને સ્વાભાવિક જ અચરજ થયુ હતુ.
વહેલી સવારે રીંછ પહેલા વક્તાપુરમાં જોવા મળ્યુ હતુ, પરંતુ રીંછની સામે મોટેથી અવાજ કરીને દોટ મુકીને યુવકે બચાવનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રીંછ વિરપુર તરફના વિસ્તારમાં જોવા મળ્યુ હતુ. જ્યાં રીંછે બે વ્યક્તિઓ પર હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. જેને લઇને વન વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમો વિરપુર ગામની સીમમાં પહોંચી હતી. જોકે રીંછ શરુઆતના પ્રયાસો બાદ પણ પાંજરે નહી પુરાતા બનાસકાંઠાથી નિષ્ણાંત ટીમોને બોલવવામાં આવી હતી.
જેસોર અભ્યારણથી ખાસ ટીમ વિરપુર ખાતે આવી હતી. જે ટીમે આવીને આકરી ગરમી વચ્ચે રીંછને પકડવા માટેની કાર્યવાહી શરુ કરી હતી. જેમાં રીંછની હાજરીના વિસ્તારમાં ચાર પોઈન્ટ નક્કી કર્યા હતા અને તેને પાંજરે પુરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો. રીંછને બેહોશ કરવા માટે ખાસ પ્રકારની ગન પણ સાથે રાખવામાં આવી હતી. જેના વડે તેને બેહોશ કરીને જાળીમાં લપેટીને પાંજરામાં પુરીને જેસોર અભ્યારણ લઈ જવામા આવ્યુ હતુ. જ્યાં તેને રીંછને ફરીથી ખુલ્લામાં છોડી મુકવામાં આવશે.
હાલ તો જોકે કોઈ સ્પષ્ટ થઈ શક્યુ નથી. પરંતુ આમ છતાં રીંછ મહેસાણા જિલ્લાના સતલાસણા અને બનસાકાંઠા જિલ્લાના વિસ્તારમાંથી ધરોઈ બંધ તરફ થઈને ફરતુ ફરતુ આવ્યુ હોવાનુ માનવામાં આવે છે. સાબરમતી નદી કિનારાના જંગલ વિસ્તારમાંથી રીંછ તે ટ્રેક થી અહીં પહોંચ્યુ હોઈ શકે છે. રાત્રીના અંધકારમાં પાણી અને ખોરાકના શોધમાં આ વિસ્તારમાં વહેલી સવારે ભટક્યુ હોઈ શકે છે એમ પણ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. જોકે આ માટે તેનો ટ્રેક પણ તપાસવામાં આવશે અને તે પ્રમાણે તેના આવવા અંગેની જાણકારી પણ સ્થાનિક વન વિભાગ દ્વારા મેળવવામાં આવશે. જેથી ભવિષ્યમાં પણ તે માહિતી કામ આવી શકશે.
Published On - 5:32 pm, Wed, 11 May 22