Farmer Story: ખેડૂતે દિકરીના જન્મ સાથે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કરી વાડી તૈયાર કરી, 22 વર્ષ બાદ હવે લાખ્ખોની આવક થવા લાગી
વસાઈના ખેડૂત પરિવારે એક ઉદાહરણીય વચન લીધુ કે પોતાની ખેતીની જમીનના 6 એકર વિસ્તારમાં પાકૃતિક ખેતી કરીશ. પુત્રીના જન્મના વર્ષે જ છ એકર જમીનમાં ખેડૂતે આંબા અને ચીકુંના વૃક્ષોની વાવણી કરી હતી.
દિકરી જન્મે એટલે તેના વધામણાં કરવાની ખુશીઓ પિતાના હૈયામાં અપાર હોય છે. કોઈ તેના આગમને મૂડીનુ રોકાણ કરે તો કોઈ ખુશીને મિઠાઈ વહેંચીને મનાવતુ હોય છે, તો કોઈ જશ્ન મનાવતુ હોય છે. 22 વર્ષ અગાઉ એક ખેડૂતના ઘરે દિકરીનો જન્મ થયો હતો. આ જન્મ સાથે જ સાબરકાંઠા (Sabarkantha) ના ખેડૂત પરિવારે એક ઉદાહરણીય વચન લીધુ કે પોતાની ખેતીની જમીનના 6 એકર વિસ્તારમાં પાકૃતિક ખેતી કરીશ. પુત્રીના જન્મના વર્ષે જ છ એકર જમીનમાં ખેડૂતે આંબા અને ચીકુંના વૃક્ષોની વાવણી કરી હતી. આજે બે દાયકા બાદ દીકરી MSc નો અભ્યાસ કરે છે અને વાડીમાં પાકૃતિક પદ્ધતીથી ઉછેર કરેલ આંબા અને ચીકુંની હરીયાળી લહેરાઈ રહી છે.
વાત સાબરકાંઠા જિલ્લાની છે. એ સમયે અરવલ્લી અને સાબરકાંઠા એક જિલ્લો હતો. આજે ઈડર તાલુકાનુ વસાઈ ગામ અરવલ્લી જિલ્લાની ભાગોળે છે. વર્ષ 2000 ના દરમિયાન પ્રાકૃતિક ખેતી વિશે વાત કરે તો થોડુ આશ્ચર્ય થતુ હતુ. કારણ કે એ વખતે પૂરજોશમાં રસાયણીક ખાતર અને દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો. પરંતુ ઇડરના વસાઈ ગામના પરેશભાઈ દેસાઈના ઘરમાં પુત્રીનુ આગમન થયુ. આ સાથે જ તેઓએ એક નિર્ણય પણ પરિવારમાં કરી લીધો કે પોતાની લાડકવાયી પુત્રીની ખુશીમાં પોતાના ખેતરમાં હવે રાસાયણીક ખાતરનો ઉપયોગ બંધ કરશે. આ માટે તેઓએ પ્રાકૃતિક ખેતી માટેનો નિર્ણય લઈ લીધો હતો.
બે દાયકા પહેલા પ્રાકૃતિક ખેતી આધારિત પોતાની 6 એકર જમીનમાં આંબા અને ચીકુંના છોડ વાવ્યા હતા. જે દિકરીના આગમનની ખુશીના ભાગ રુપે વાવ્યા હતા. જેથી દિકરીને પ્રેમ અને વૃક્ષને જતનના ધોરણ સર રાસાયણિક ખાતર વિના છોડનો ઉછેર શરુ કર્યો હતો. આંગણાંમાં દિકરીનો આનંદ કિલ્લોલ અને બીજી તરફ વાડીમાં આંબા-ચીકુંની હરીયાળી વધવા લાગી હતી. બંને નજર લાગે એમ ઉછરી રહ્યા હતા.
9 લાખ રુપિયા રળી રહ્યા છે
પિતા પાસેથી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવીને વૃક્ષોનો ઉછેર શરુ કર્યો હતો. આ માટે જરુર જણાય એમ છાણિયા ખાતર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને વૃક્ષોની માવજત કરી હતી. આ માટે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી પણ વિશેષજ્ઞો પાસેથી મેળવવાનુ શરુ કર્યુ હતુ. આ માટે શુભાષ પાલેકરજી પાસેથી પણ સાત દિવસની તાલીમ મેળવી હતી. આમ પોતાના ખેતરમાં ફળાઉ પાક લહેરાવા લાગ્યો હતો. જેમાં મીઠા ફળોનુ ઉત્પાદન શરુ કર્યુ હતુ. પ્રાકૃતિક ખેતી દ્વારા પરેશભાઈ હાલમાં 9 લાખ રુપિયાની આક લઈ રહ્યા છે. જેની સામે માંડ એકાદ લાખ રુપિયા ખર્ચ કરી રહ્યા છે.