પયગંબર મોહમ્મદ પર વિવાદ છેડાયો, સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે FIR દાખલ
FIRમાં જણાવવામાં આવ્યું છે કે, પયગંબર વિરૂદ્ધ આરોપીએ મુસ્લિમ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ઈરાદાથી જોઈ શકાય અને વાંચી શકાય તે રીતના શબ્દો લખ્યા છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં(Himatnagar) પયગંબર મોહમ્મદ વિશે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર સામે FIR થઈ છે. ‘પયગંબર સાહેબ અંગેની ભાજપ નેતાની ટિપ્પણીના મુસ્લિમ દેશોમાં આકરા પડઘા’ આ લખાણવાળી સમાચાર પત્રની ફેસબૂક પોસ્ટ (Facebook Post) પર વિવેક પટેલ નામના ફેસબૂક આઈડીથી અભદ્ર કોમેન્ટ લખાયાનો આરોપ છે. જેની સામે ઈલોલ ગામના અશરફ દાંત્રોલિયાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં (Sabarkantha police) ફરિયાદ નોંધાવી છે.
FIRમાં ઉલ્લેખ છે કે પયગંબર વિરૂદ્ધ આરોપીએ મુસ્લિમ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ઈરાદાથી જોઈ શકાય અને વાંચી શકાય તે રીતના શબ્દો લખ્યા છે અને બે કોમ વચ્ચે દ્વેષની લાગણીઓને પ્રોત્સાહન આપી કોમી વૈમનસ્ય ફેલાવવા વિખવાદ થાય તેવું કૃત્ય કર્યું છે.
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી
તમને જણાવી દઈએ કે,પયગંબર મોહમ્મદ (Paigambar Muhammad) વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં શુક્રવારની નમાજ પછી દેશના વિવિધ વિસ્તારોમાં હિંસા અને તોડફોડની ઘટનાઓ બની હતી. જે અંગે વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. VHPએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે આવી હિંસા કોઈના હિતમાં નથી. તે જ સમયે VHPએ આવી ઘટનાઓની પુનરાવૃત્તિને રોકવા માટે સમગ્ર દેશમાં મસ્જિદો અને મદરેસાઓ અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અંદર અને બહાર ઉચ્ચ ક્ષમતાવાળા કેમેરા લગાવવાની માંગ કરી છે.
VHPએ કહ્યું છે કે આ કેમેરાનો ઉપયોગ ત્યાંની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરી શકાય છે. તેમણે કહ્યું કે આ કેમેરાની કમાન્ડ અને ઓપરેશનલ વ્યવસ્થા સંબંધિત પોલીસ સ્ટેશનો પાસે હોવી જોઈએ અને કોઈપણ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ જવાબદાર હોવા જોઈએ.