કોંગ્રેસને હવે ક્ષત્રિય-ઠાકોર નેતાનો સાથ છૂટવાનો લાગશે ઝટકો! એક સાંધતા તેર તૂટવા સમાન સ્થિતીમાં વધુ એક ફટકો સહવો પડશે
ઉત્તર ગુજરાત (North Gujarat) માં આદીવાસી નેતાઓએ કોંગ્રેસને રામ રામ કર્યા બાદ હવે, ક્ષત્રિય-ઠાકોર આગેવાને પણ ભાજપમાં જોડાવવાની તૈયારી કરી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસની સ્થિતી એક સાંધતા તેર તૂટવા સમાન છે. ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલે રાજીનામુ ધરી દઈને કોંગ્રેસનો હાથ છોડતા કોંગ્રેસે આદીવાસી દિગ્ગજ નેતાનો સાથા છૂટ્યો હતો. હવે ઠાકોર સમાજ (Thakor Samaj) માં કોંગ્રેસને મોટો ફટકો પડે એવી સમાચાર સામે આવી રહ્યા છે. નેતાઓની આંતરીક ખેંચમતાણથી તંગ આવીને હવે કોંગ્રેસના ઠાકોર સમાજના અગ્રણી અને પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા (Mahendrasinh Baraiya) હવે કોંગ્રેસને રામ રામ કહેશે. જોકે હાલ તો તેઓએ ટીવી9 સાથેની વાતચીતમાં વાતને લઈને કોઈ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી. પરંતુ સુત્રો મુજબ સીઆર પાટીલ (CR Patil) ની હાજરીમાં તેઓએ કેસરીયા આગામી સપ્તાહે કરશે.
ક્ષત્રીય ઠાકોર સમાજનુ પ્રભુત્વ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની મોટાભાગની બેઠકો પર ખૂબ જ રહેલુ છે. બંને જિલ્લાઓમાં કોંગ્રેસને માટે હવે આદીવાસી નેતાઓનો સાથ ગુમાવ્યા બાદ હવે ઠાકોર નેતા ગુમાવવાનો ફટકો સહવો પડે તો નવાઈ નહીં. ઠાકોર સમાજના આગેવાન મહેન્દ્રસિંહ બારૈયા હવે કોંગ્રેસને છોડી શકે છે. ગત વિધાસભાની ચૂંટણીમાં નજીવા માર્જીનથી આંતરીક સમસ્યાને લઈ હાર મેળવી હતી. વર્ષ 2012 અને 2017 માં એકલા હાથે ચુંટણી લડીને પોતાની શક્તિ દર્શાવનારા મહેન્દ્રસિંહ પર ક્યારનીય નજર ઠરેલી હતી, પરંતુ હવે જાણે કે વાત અંત તરફ જઈ રહી છે. પ્રાંતિજ વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન અને પ્રદેશ ભાજપ સંગઠનના પૂર્વ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ સામે જીત મેળવી હતી.
વિસ્તાર અને સમાજના વિકાસ માટે જાહેર જીવન અપનાવ્યુ-બારૈયા
મહેન્દ્રસિંહ બારૈયા એ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આ પ્રકારની વાતો ચુંટણી નજીક આવતા ચાલતી હોય છે. આવુ કશુ હાલમાં નથી, કોંગ્રેસના નેતાઓ સાથે નિયમીતના રુપે વાતચીતો થઈ રહી છે અને તેમના સંપર્કમાં જ છું. આગામી રવિવારે લઘુરુદ્ર યજ્ઞનો કાર્યક્રમ શ્રાવણ માસને લઈ પૂર્વનિયોજીત છે, જે સ્પષ્ટ છે. જેમાં તમામ સ્થાનિક આગેવાનો જાહેરજીવનના સંબંધોને લઈ ઉપસ્થિત રહે એમ આયોજન કરેલુ છે.
આગળ કહ્યુ હતુ કે, રાજકીય ગતિવિધી અંગે હાલમાં રવિવારના આયોજન સાથે કોઈ જોડાણ નથી. આવુ કંઈ હોય તો મીડિયાને પહેલાથી જ જાણકારી મળતી હોય છે, એમ જ મળશે. પણ આશા રાખીશ કે પ્રાંતિજ વિધાનસભાના લોકોને પ્રાથમિક સુવિધા અને વિકાસ મળી રહે એ દિશામાં જ મારુ જાહેર જીવન રહેશે. આમ આ લાઈન સાથે તર્ક લગાવાઈ રહ્યો છે કે, તેઓ આગામી સપ્તાહે હવે નવી ઈનીંગ ખેલી શકે છે. આ પહેલા અશ્વિન કોટવાલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ પણ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે.