ધરોઈ અને ખેડવા બંધમાં પાણીની આવક નોંધાતા રાહત, ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન જળાશયમાં આટલા ટકા વધારો નોંધાયો
ઉત્તર ગુજરાત (North Gujarat) અને રાજસ્થાનમાં વરસાદને પગલે નદીઓમાં છેલ્લા બે દિવસમાં નવા નિર આવ્યા હતા, જેને લઈ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
ઉત્તર ગુજરાત (North Gujarat) માં સારો વરસાદ વરસવાને લઈને હવે કેટલીક નદીઓમાં પણ નવા નીર આવવા લાગ્યા છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસવાને લઈ નદીઓમાં નવા નીર આવ્યા હતા. આ ઉપરાંત ઉપરવાસ રાજસ્થાનના વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ જળાશયોમાં આવક નોંધાઈ છે. ખાસ કરીને સાબરમતી નદી (Sabarmati River) પર આવેલા ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ (Dharoi) જળાશયમાં શનિવાર અને રવિવાર એમ બંને દિવસ પાણીની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત ખેડવા જળાશયમાં પણ પાણીની આવક થતા રાહત સર્જાઈ છે. જળાશયોમાં પ્રથમ વાર સિઝનમાં આવક નોંધાઈ રહી છે. મોટા ભાગના જળાશયોમા પાણીનો જથ્થો મર્યાદીત છે અને હવે જળાશયોમાં નવી આવકો થાય એમ વરસાદ વરસે એવી આશા પણ સેવવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આવે તો આજે બપોર બાદ સારો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વડાલી અને ઈડર વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત હિંમતનગરના પૂર્વ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ સારા પ્રમાણમાં વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે આ દરમિયાન શનિવારે વહેલી સવારે નદીઓમાં નીર આવવા લાગતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પરંતુ જળાશયોમાં પણ પાણીની આવકો નોંધાવા લાગતા ખુશી બમણી થઈ ગઈ હતી. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી હાથમતી નદીમાં પણ રાજસ્થાનમાં વરસાદને લઈ નવા પાણી વહ્યા હતા.
8 હજાર ક્યુસેક આવક નોંધાઈ
ધરોઈ જળાશયને જોવામાં આવેતો શનિવારે બપોર બાદ જળાશયમાં પાણીની આવક શરુ થઈ હતી. જે મોડી સાંજ સુધીમાં વધી ચુકી હતી. રવિવારે પણ સાંજ સુધી જળાશયમાં પાણીની આવક નોંધપાત્ર રહી હતી. શનિવારે બપોર બાદ શરુ થયેલ પાણીની આવક મોડી સાંજે 8 હજાર ક્સૂસેક પર પહોંચી હતી. જ્યારે રવિવારે બપોર સુધી તે પાંચ હજાર ક્યુસેકની આસપાસની આવક રહી હતી. જ્યારે રવિવારે બપોર બાદ પણ ત્રણેક હજાર ક્યુસેકની આવક રાત્રીના 9 કલાક સુધી નોંધાઈ હતી. જેને લઈ જળાશયમાં 2 ટકા જેટલો પાણીનો જથ્થો વધ્યો હતો.
ખેડવા જળાશયમાં પણ પાણીની આવક 300 ક્સ્યુસેકની આસપાસ રહી હતી. ઉપરવાસ વિસ્તારમાં સારા વરસાદને લઈ ખેડવા જળાશયમાં આવક નોંધાઈ હતી. આવક મર્યાદીત રહી હતી પરંતુ પાણીની આવક નોંધાવાને લઈ વિસ્તારના લોકો અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. રાજસ્થાનમાં સારા વરસાદને લઈ જળાશયમાં આવક થઈ હતી.
ગુહાઈ જળાશયમાં નર્મદાનુ પાણી ઉમેરવુ પડ્યુ હતુ
ઉનાળામાં પાણીની સમસ્યા વચ્ચે ગુહાઈ જળાશયમાં તાત્કાલીક ધોરણે નર્મદાનુ પાણી નાંખવુ પડ્યુ હતુ. જેને લઈ હિંમતનગર સહિતના વિસ્તારને પીવાના પાણીના સંકટને નિવારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતીમાં હવે ચોમાસાની શરુઆતે થોડા ગણા પ્રમાણમાં થતી પાણીની આવકો રાહત રુપ લાગી રહી છે.