પંચમહાલ (Panchmahal) જિલ્લાના તત્કાલીક કલેકટર એસ.કે.લાંગાએ કાયદાની ઉપરવટ જઇને પોતાની ફરજ દરમિયાન પોતાના આર્થિક લાભ માટે ખેડૂત (Farmer) ખાતેદારની જમીન ખાલસા ન થાય તે માટે મનસ્વી રીતે નોટિંગ વગરનો પરિપત્ર કરી પ્રાંતની સત્તા કલેકટરે હસ્તક લઇ લીધી હતી. આ પરીપત્રથી સત્તાઓ મેળવીને તત્કાલીન કલેકટરે 3 કેસોમાં મનસ્વી રીતે નીર્ણય લીધો હતો. આ મુદ્દે ગોધરા બી-ડિવિઝન પોલીસ મથકામાં ફરિયાદ નોંધાઈ હતી. કેસની તપાસ માટે પોલીસે 3 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે ડીસ્ટ્રીક્ટ કોર્ટે તત્કાલિન કલેક્ટરના રિમાન્ડ નામંજૂર કર્યા છે. કેસમાં તત્કાલિન કલેકટર એસ.કે.લાંગાએ તેમના પર લાગેલા આરોપ નકાર્યા છે.
આ અંગેની વિગતો જોઈએ તો પંચમહાલ કલેક્ટર કચેરીમાં વર્ષ 2017-19 માં મામલતદાર કૃષિપંચ દ્વારા ખેડૂત ખરાઈ અંગે નોટિસ અપાઇ હતી . જેની તપાસ ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કરાઇ રહી હતી . જેઓ પાસેથી તે સમયના કલેક્ટર એસ . કે . લાંગા દ્વારા ત્રણ કેસની તપાસ આંચકી લધી હતી. જે ત્રણેય કેસમાં તેમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી હુકમ કર્યા હતા . જે બાબતે બાબતે પંચમહાલના જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા સરકારમાં રજૂઆત કરાઇ હતી.
જેની તપાસમાં સમગ્ર હકિકત સામે આવતા તત્કાલીન કલેક્ટર એસ . કે . લાંગા વિરુદ્ધ આખરે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા અધિક કલેકટર એમ . ડી ચુડાસમાએ તત્કાલીન કલકેટર એસ . કે . લાંગા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે , એપ્રિલ 2017 થી એપ્રિલ 2018 સુધી પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે કારભાર સંભાળનાર અને હાલ નિવૃત આઈએએસ એસ . કે . લાંગા દ્વારા ગોધરા શહેરના ત્રણ ખેડૂત ખાતેદાર શિલાબેન મંગલાની , ધનરાજ રોહિતકુમાર સુંદરલાલ લુહાણા અને ધનવંતીબેન ચુનીલાલ ધારસિયાનીએ હરાજીમાં લીધેલ જમીનમાં જે તે વખતના નિયમો પ્રમાણે પોતાનું નામ 7 ( અ ) માં દાખલ કરાવેલ હતું. આ અંગે જે તે સમયે એક અરજદાર દ્વારા કૃષિપંચ અને મામલતદારમાં ખોટી રીતે બિનખેડૂતના નામો દાખલ કરાયા અંગે અરજી કરાઇ હતી . જે બાબતે મામલતદાર દ્વારા કોઇ યોગ્ય નિકાલ નહિ થતા અરજદારે પ્રાંત અધિકારીની કોર્ટમાં રિવ્યુ અપીલ કરી હતી .
તે સમયે પ્રાંત અધિકારી ગોધરા પાસે ખેડૂત ખરાઈ અંગેની 51 જેટલી તપાસ અરજી પેન્ડિંગ હતી . દરમિયાન તત્કાલિન જિલ્લા કલેક્ટર એસ . કે . લાંગા દ્વારા પ્રાંત અધિકારી પાસેથી જમીન બાબતની અરજીઓ અંગેની સત્તા આંચકી પોતાને હોદ્દાની સાથે મળેલી સત્તાનો દુરુપયોગ કરી PICK AND CHOOS પદ્ધતિ અપનાવી નોટિંગ કર્યા વિનાનો પરિપત્ર મનસ્વી રીતે કર્યો હતો . આ બાબતે હુકમો કરી ઉક્ત ખેડૂતોની જમીનો ખાલસા ન થાય તેવો ફાયદો કરાવી બિનખેડૂતોને સજા માંથી બચાવવા તેમજ મિલકત જપ્ત થતી બચાવવાના ઈરાદાથી પોતે રાજ્ય સેવક હોવા છતાં ખોટું રેકર્ડ તૈયાર કર્યું હતું. અધિક નિવાસી કલેક્ટરની ફરિયાદના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા આઇપીસીની કલમ 217 અને 218 મુજબ ફરિયાદ નોંધી હતી. જેની તપાસ ગોધરા ડીવાયએસપી દ્વારા શરૂ કરવામાં આવી હતી.