સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, 5 જિલ્લામાં 188 વ્યાજખોરો સામે એકશન
Rajkot News : 5 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેવી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે
અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા 5 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેવી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. 5 જિલ્લાઓમાં 188 વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 628 સ્થળો પર લોકદરબાર ભરી ભોગ બનનારની મદદ કરી છે.
સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં 188 વ્યાજખોરો સામે કાર્યવાહી
મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે રાજય સરકારે લાલ આંખ કરતા વ્યાજ ખોરો વિરૂદ્ધ ચાલી રહેવી મેગા ડ્રાઇવમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં 188 વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં 14 ગુનાઓમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. જામનગરમાં 29 ગુનાઓમાં 36 આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ ગ્રામ્યમાં ગુનાઓમાં 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોરબીમાં 21 ગુનાઓમાં 39 આરોપીઓની ધરપકડ થઇ છે. સુરેન્દ્રનગરમાં 21 ગુનાઓમાં 30 આરોપીઓની ધરપકડ કરાઇ છે. તો 41 વ્યાજખોરોની ધરપકડ બાદ હજુ સુધી જામીન આપવામાં આવ્યા નથી.
પોલીસના કામની વેપારીઓ અને લાભાર્થીઓએ કરી સરાહના
એક તરફ રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસના આ પ્રયાસની હાજર વેપારીઓ અને લાભાર્થીઓ પણ સરાહના કરી છે. લાભાર્થીઓનું માનવું છે કે અત્યાર સુધી યોગ્ય માહિતીના અભાવે તેઓ વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા. જોકે ખાસ કાર્યક્રમ દ્વારા માહિતી મળતા હવે તેઓને લોન કે આર્થિક સહાય મેળવવામાં સરળતા રહેશે.
ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે તવાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.