રાજકોટ પોલીસ વ્યાજખોરીનો ભોગ બનેલા 1,282 પીડિતોને અપાવશે 3.45 કરોડની લોન, મુખ્યમંત્રી દ્વારા મળશે લોનના પ્રમાણપત્ર
Rajkot: રાજ્યમાં વ્યાજના વિષચક્રને તોડવા માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે અને આજ સિલસિલામાં વ્યાજખોરોનો ભોગ બનેલા 1282 પીડિતોને રાજકોટ પોલીસ 1282 કરોડની લોન અપાવશે. આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે આ લોન મંજૂર થયાના પ્રમાણપત્ર આપવામાં આવશે.
રાજ્ય સરકારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા માટે એક મહાઅભિયાન ઉપાડ્યું છે. આ અભિયાનમાં રાજકોટ પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન ઉપાડ્યું છે.
આ અભિયાન અંતર્ગત વ્ચાજખોરોના ચુંગાલમાં ફસાયેલા રૂપિયાની જરૂરીયાતવાળા લાભાર્થીઓને અલગ અલગ 16 જેટલી બેંક અને શરાફી મંડળીઓના સહયોગથી 1282 જેટલા લાભાર્થીઓને 3.45 કરોડ રૂપિયાની લોન અપાવશે. આવતીકાલે પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન મંજૂર પ્રમાણપત્ર સોંપવામાં આવશે.
કઇ કઇ યોજના અંતર્ગત મળી લોન ?
યોજનાનું નામ | લાભાર્થીની સંખ્યા | રકમ |
ગોલ્ડ લોન | 6 | 30.74 લાખ |
હાઉસિંગ લોન | 2 | 21 લાખ |
મુદ્ગા લોન | 15 | 70.50 લાખ |
પર્સનલ લોન | 5 | 10.55 લાખ |
એગ્રીકલ્ચર લોન | 3 | 17.40 લાખ |
પી.એમ.સ્વનિધિ લોન | 1246 | 1.95 કરોડ |
આ રીતે કુલ મળીને 1282 લાભાર્થીઓને 3,45,29,000 રૂપિયાની લોન મંજૂરી અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તમામ લાભાર્થીઓને મનીલોન્ડ્રીંગ એક્ટ અંતર્ગત નિયત કરાયેલા વ્યાજે અને નજીવા દરે જ લોન મળશે.
5 જાન્યુઆરીથી શરૂ કરાયેલી ઝુંબેશમાં કાર્યવાહી
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 5 જાન્યુઆરીથી વ્યાજખોરો સામેની ઝુંબેશ શરૂ કરવામાં આવી. રાજકોટ પોલીસ દ્વારા પણ આ ઝુંબેશના ભાગરૂપે 31 જાન્યુઆરી સુધીમાં હેમુ ગઢવી હોલમાં વ્યાજખોરો સામે સામુહિક લોક દરબાર અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પ્રમાણે લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ મળેલી કુલ 60 અરજીઓ પૈકી 59 કેસોમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બે વ્યાજખોરો સામે પાસા સુધીના વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Rajkot: પત્નીના પૂર્વ પ્રેમીએ પતિને છરીના ઘા મારી રહેંસી નાખ્યો, પ્રેમિકાને પામવાનું ઝુનુન હતુ સવાર
વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરો, પોલીસને જાણ કરો- રાજુ ભાર્ગવ
તાજેતરમાં વ્યાજખોરના ત્રાસથી મોતને ભેટેલા કોલસાના વેપારીની ઘટના બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી પીડાતી હોય તો તેઓએ રાજકોટ પોલીસનો સંપર્ક કરવો એવું કોઈ કૃત્ય ન કરવું જેનાથી તેને અને તેના પરિવારને મોટું નુકસાન થાય. રાજકોટ પોલીસ વ્યાજખોરી કરતા અને કડક પઠાણી ઉઘરાણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.