ખોડલધામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમમાં નરેશ પટેલ ટ્રસ્ટના આગામી પ્રકલ્પો વિશે માહિતી આપી હતી. નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામ ભક્તિ થકી રાષ્ટ્રની સેવા માટે આગળ વધી રહ્યું છે આ માટે હવે પડધરી તાલુકાના અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જમીનની ખરીદી કરવામાં આવી છે, આ માટે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને મિત્ર મંડળ દ્વારા 25 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું, જે અંગે આગામી દિવસોમાં ખાતમુર્હત કરીને તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
નરેશ પટેલે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવા પ્રકલ્પો શરૂ કરવાની માંગ સાથે વધુમાં કહ્યું હતું કે ખોડલધામ દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જમીનની ખરીદી શરૂ કરી દીધી છે જ્યાં આગામી દિવસોમાં શૈક્ષણિક હબ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત ખોડલધામ દ્રારા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ કાગવડના મોડેલને આધારે ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યને લગતો વિકાસ કરવામાં આવશે આ માટે નવા નીમાયેલા 51 જેટલા ટ્ર્સ્ટીઓના સાથ સહકારથી આ આયોજન ગોઠવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ખોડલધામની તમામ કામગીરીની નોંધ લીધી હતી. ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ખોડલધામમાં આરતી પણ થાય છે અને રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.ખોડલધામ હંમેશા રાષ્ટ્રસેવામાં તત્પર હોય છે અને તેના જ કારણે ખોડલધામ માત્ર લેઉવા પાટીદાર સમાજ જ નહીં પરંતુ સર્વ સમાજની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને હજારો-લાખો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.
આ પણ વાંચો: રાજકોટવાસીઓ થઈ જજો સાવધાન, હવે હેલમેટ નહીં પહેરો તો થશે દંડ, પોલીસે શરૂ કરી ટ્રાફિક ડ્રાઈવ
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે કોરોનાના કારણે પંચવર્ષીય ઉજવણી સાદઈથી કરવી પડી હતી બાદમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે. હવે પછીની ઉજવણી ઔપચારીકતા પૂરતી રહેશે. ખોડલધામ દ્વારા હવે નવા વિચારો અને નવી સિદ્ધીઓ સાથે વર્ષ 2027માં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમ ભવ્યતિભવ્ય હશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજથી જ ટ્રસ્ટીમંડળ અને કન્વીનરો આયોજન ઘડવાની શરૂઆત કરશે અને વર્ષ 2027માં ભવ્યતિભવ્ય કાર્યક્રમ યોજીને ભક્તિ થકી એકતાની શક્તિ અને રાષ્ટ્રસેવાના દર્શન કરાવશે.