હાલમાં શ્રાવણ માસ (Shravan) ચાલી રહ્યો છે, આ માસમાં ઉપવાસ કરવાનુ વિશેષ મહાત્મય હોય છે.ત્યારે સામાન્ય લોકોની સાથે- સાથે જેલમાં બંધ કેદીઓ પણ આ શ્રાવણ માસમાં ઉપવાસ રહીને દેવાધિદેવ મહાદેવની (Lord Shiv) આરાધના કરતા હોય છે.રાજકોટની મધ્યસ્થ જેલમાં કુલ 305 જેટલા કેદીઓ શ્રાવણ મહિનાના ઉપવાસ રહે છે જેના માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
રાજકોટ મધ્યસ્થ જેલના જેલરે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હિંદુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માનવામાં આવે છે.શ્રાવણ મહિના સાથે કેદીઓની આસ્થા જોડાયેલી છે ત્યારે કેદીઓની આસ્થાને માન આપીને જેલમાં પણ ઉપવાસ કરતા કેદીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલ તંત્ર દ્વારા જે કેદીઓએ ફરાળનું આયોજન કરાયું છે. જેમાં ઉપવાસ રહેતા દરેક કેદીને 100 ગ્રામ સિંગદાણા, 400 ગ્રામ બટાટાની સૂકી ભાજી, 50 ગ્રામ ગોળ અને 3 નંગ કેળા આપવામાં આવે છે. મહત્વનું છે કે, કેદી માટે રસોડામાં પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જેલમાં બંધ કેદીઓ શ્રાવણ મહિનામાં શિવનું પૂજન અર્ચન પણ કરી શકે છે. જેલમાં દરેક બેરેકમાં શિવલીંગ આવેલી છે. જેથી જે પણ કેદીઓને પૂજન અર્ચન કરવું હોય તેને કેન્ટીનમાંથી દૂધ આપવામાં આવે છે અને ફૂલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. કેદીઓ પણ ભગવાનનો અભિષેક કરે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
આ અંગે મધ્યસ્થ જેલના કેદી સુરેશ ભાલિયાએ કહ્યું હતું કે, અમે આસ્થા સાથે શ્રાવણ મહિના ઉપવાસ કરીએ છીએ.જેલમાં અમારા માટે વિશેષ વ્યવસ્થા છે ,જેથી પૂજન અર્ચન પણ કરી શકીએ છીએ.જેલ તંત્ર દ્રારા વિશેષ વ્યવસ્થાને કારણે અમે શ્રધ્ધાપૂર્વક શ્રાવણ માસના ઉપવાસ કરીએ છીએ.
Published On - 4:01 pm, Thu, 4 August 22