Rajkot : મધ્યસ્થ જેલમાં બે કેદીઓમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા, આરોગ્ય તંત્ર થયુ દોડતુ
ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના (Monkeypox) જૂજ કેસ નોંધાયા છે. ગુજરાતમાં (Gujarat) અત્યારસુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી, પણ રાજકોટની (Rajkot) મધ્યસ્થ જેલમાં (Central Jail) બે કેદીઓમાં શંકાસ્પદ મંકીપોક્સના લક્ષણો સામે આવ્યા છે.
વિશ્વભરમાં ઘણાં દેશોમાં મંકીપોક્સે (Monkeypox) માથુ ઉંચક્યું છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના જૂજ કેસ નોંધાયા છે. ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી, પણ રાજકોટની (Rajkot) મધ્યસ્થ જેલમાં (Central Jail) બે કેદીઓમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો સામે આવ્યા છે. બે કેદીઓને અછબડાં જેવી ફોલ્લીઓ હોવાનું સામે આવ્યું છે. જે પછી રાજકોટનું આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. તો મંકીપોક્સ સામે તકેદારીના ભાગ રુપે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.
બે કેદીઓમાં મંકીપોક્સના લક્ષણો
રાજકોટ જિલ્લાની મધ્યસ્થ જેલમાં બે કેદીઓમાં શંકાસ્પદ મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. જેલમાં બે કેદીઓને અછબડાં જેવી ફોલ્લીઓ હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ બંને કેદીના સેમ્પલ લીધા છે. જો કે પ્રાથમિક રીતે બંને કેદીઓને ડેન્ગ્યૂની અસર હોવાનું તબીબોનું અનુમાન છે. જો કે મંકીપોક્સનું સંક્રમણ વધતુ જોઇને તંત્ર કોઇપણ જાતની બેદરકારી રાખવા માગતુ નથી. જેના પગલે રાજકોટ સિવિલમાં 30 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.
શું છે મંકીપોક્સના લક્ષણો ?
ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી, તાવ આવવો, માથામાં દુખાવો થવો, થાક લાગવો, અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો, મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય છે. જે ધીમે ધીમે શરીરમાં અન્ય ભાગોમાં પ્રસરે છે.
મંકીપોક્સના સંક્રમણથી બચવા શું કરવું જોઇએ ?
મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચાથી–ત્વચા અથવા ચહેરાથી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો. સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.
મંકીપોક્સના દર્દીને આપવામાં આવતી સારવાર
મંકીપોક્સથી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે. સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.
આ સમયગાળા દરમિયાન દર્દીને પોષણયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે રીતે ફ્લુઇડ હેન્ડલીંગમાં ધ્યાન રાખવામાં આવે છે. મંકીપોક્સથી સંક્રમિત થયેલા દર્દી માટે 5 થી 21 દિવસ સુધીનો સમયગાળો અતિ મહત્વનો હોય છે. જે દરમિયાન દર્દીને સતત દેખરેખ હેઠળ રાખીને જરૂરી માપદંડોને મોનીટર કરવામાં આવે છે.