Health : કબૂતરના ચરક અને પીંછાને કારણે થઈ શકે છે ગંભીર બિમારી, ડરવાની નહિં સાવધાની રાખવાની જરૂર
જો તમે પણ કબૂતરને દરરોજ ચણ નાખો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે કબૂતરના ચરક અને પીછાથી છાતીના ગંભીર રોગ થઈ શકે છે.
Rajkot : સામાન્ય રીતે કબૂતરને ચણ નાખવાથી પુણ્ય મળે છે, એવી આપણે ત્યાં ધાર્મિક માન્યતા છે અને મોટી સંખ્યામાં લોકો પુણ્ય મેળવવા માટે કબૂતરને ચણ નાખતા હોય છે. જો તમે પણ કબૂતરને દરરોજ ચણ નાખો છો તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે કબૂતરના ચરક અને પીછાથી છાતીના ગંભીર રોગ થઈ શકે છે .
કબૂતરના ચરક અને પીછા છે રોગોનુ ઘર !
TV9 સાથે વાત કરતા ફેફસાના રોગોના નિષ્ણાત ડૉ ધીરેન તન્ના જણાવે છે કે કબૂતરના પીછાં અને ચરકમાં એક પ્રકારનો એન્ટીજન હોય છે જે હવા દ્વારા શ્વાસ વાટે અમુક લોકોના ફેફસામાં જઈને સોજો લઈ આવે છે જે લાંબા ગાળે ન્યુમોનીયા કરે છે. જે હાઇપર સેન્સિટીવિટી ન્યૂમોનિયા કહેવાય છે. આ ન્યૂમોનિયા સામાન્ય ન્યૂમોનિયા કરતા વધુ ગંભીર છે. સામાન્ય ન્યૂમોનિયા દવાથી મટી જાય છે. આ ન્યૂમોનિયા ધીમે ધીમે ફેફસાં ડેમેજ કરે છે. જે લોકોના ફેફસાં પહેલાથી ડેમેજ હોય અને મોટી ઉંમરના લોકોએ કબૂતરથી દૂર રહેવું જોઈએ.
ચરક સુકાતા તેમાં રહેલ એન્ટીજન ભળે છે હવામાં
કબૂતરો મોટા ભાગે ચબૂતરામાં એકઠા થતા હોય છે.જ્યાં લોકો મોટા પ્રમાણમાં ચણ નાખવા જતા હોય છે. આ ઉપરાંત ફ્લેટોમાં પણ કબૂતરો જોવા મળે છે. જ્યાં બાલ્કની,બારીની બહાર અને ધાબા પર કબૂતરો રહેતા હોય છે. ત્યાં તેઓ પોતાની ચરક અને પીછાં ખેરતા હોય છે.આ ચરક સુકાતા તેમાં રહેલા એન્ટીજન હવામાં ભળે છે અને શ્વાસ વાટે ફેફસામાં જાય છે. જેથી ફેફસામાં સોજો આવે છે અને આગળ જતાં ન્યૂમોનિયા પરિવર્તિત થાય છે. જેથી ફ્લેટમાં રહેતા લોકોએ પોતાના ફ્લેટની બહાર નેટ ફીટ કરાવવી જોઈએ જેથી કબૂતરો ત્યાં ના આવે.
ડરવાની નહિ પરંતુ સાવચેતીની જરૂર
આ ન્યૂમોનિયાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે.આ ન્યૂમોનિયા તમામ લોકોને અસર નથી કરતો પરંતુ જે લોકોના ફેફસાં પહેલાથી નબળા છે,જેઓ મોટી ઉંમરના છે અને જેઓ લાંબા સમય સુધી કબૂતરોના સંપર્કમાં રહે છે તેઓને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.ચબૂતરામાં ચણ નાખવા જતા લોકોએ ચણ નાખીને નીકળી જવુ જોઈએ.લાંબા સમય સુધી ત્યાં રોકાવું ન જોઈએ.
જો કે લોકોએ પેનિક થવાની જરૂર નથી અને કબૂતરને ચણ નાખવાનું બંધ પણ કરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવાની ખાસ જરૂર છે. મહારાષ્ટ્રની થાણે નગરપાલિકાએ આ ગંભીરતાને ધ્યાને લઈને કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને 500 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે અને આખા શહેરમાં ચેતવણી આપતા પોસ્ટર પણ લગાડવામાં આવ્યા છે.