રાજ્યના અલગ અલગ ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની (Narmada) જળ સપાટી 133.51 મીટર પર પહોંચી છે માટે ડેમના 5 દરવાજા એક ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે તો ઉકાઈ ડેમની જળસપાટી 335 ફૂટને પાર જતા ડેમના 22 પૈકી 12 દરવાજા નવ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને પગલે તાપી (Tapi) નદી કાંઠે રહેતા અને નીચાણવાળા વિસ્તારના લોકો સતર્ક બન્યા છે. સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલા કાકરાપાર ડેમમાં આઝાદીના રંગ જોવા મળ્યા હતા અને પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલાયા હતા આ તરફ મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી 607.08 ફૂટ થઈ હતી ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 50.79 ટકા થયો છે.
રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ..ઉપરવાસમાં વરસાદના કારણે ઢાડા નજીક આવેલા મોજ ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે. ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. ડેમની કુલ જળ સપાટી 44 ફૂટ અને હાલ ડેમ 38.50 ફૂટ ભરાયેલો છે.ડેમમાં નવા નીરના પગલે ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય પંથકના 8 ગામોને પીવાના પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન હલ થશે.
જુની પરંપરા અને ગામની લોકપ્રથા મુજબ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં જ્યારે ગામના તળાવમાં ચોમાસાનું નવું પાણી આવે ત્યારે ગ્રામજનો તે તળાવ અને કુવામાં આવેલાં નવા નીરના વધામણાં કરવા જતાં જોકે આજે આ બધી પ્રથાઓ ભુલાઈ રહી છે. પરંતુ હજુ ક્યાંક ક્યાંક ગ્રામ્ય વિસ્તારમાં વડીલ વૃદ્ધ લોકોની ઉપસ્થિતિમાં આવી પરંપરાઓના દર્શન આજે પણ થાય છે માંડલ તાલુકાના વરમોરના સમસ્ત લોકો ઢોલ વગાડીને ગામના મુખ્ય દરવાજાની સામે આવેલ તળાવના કાંઠે પહોંચ્યા હતાં અને સૌ ગ્રામજનો મોટી સંખ્યામાં આ તળાવ ઉપર એકત્ર થઈ તાજેતરમાં પડેલ ધોધમાર વરસાદમાં જે નવા નીર આ તળાવમાં આવ્યાં જેથી આ તળાવના કાંઠે પુજા અર્ચના કરાઈ હતી.
તેમજ આ તળાવના જળમાં શ્રીફળ વહેતું મુકી જળાશયના નવા નીરના વધામણાં કરી ગ્રામજનોએ જળદેવતાના દર્શન કરી પોતાની આવનારી પેઢીઓની પેઢી ક્યારેય પાણી વગરના દિવસો ના જુવે તેવી પ્રાર્થના કરી હતી તેમજ આ તળાવ વર્ષો પહેલાં ગાળવામાં આવ્યું હતું અને આજની તારીખે પણ આ તળાવમાંથી ક્યારેય પાણી ખૂટ્યું નથી એવો ભવ્ય ઈતિહાસ વરમોરનો તળાવ ધરાવેછે. આ ઉપરાંત માંડલના મોટા ઠાકોર વાસ ખાતે પણ મહિલાઓ દ્વારા નજીકના જળાશયે પુજા કરી નવા નીરના વધામણાં કર્યાં હતાં
ભાવનગરમાં ભારે વરસાદ નથી પરંતુ ઉપરવાસમાં વરસાદને પગલે રોજકી ડેમ ઓવરફ્લો થયો હતો. અને ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ સ્થાનિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી હતી.